સેન્સેક્સમાં 3426 પોઈન્ટનો કડાકો થયો
વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળી રહેલા ફેરફાર,મોંઘવારી અને ઊંચા વ્યાજદરના પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર અને શેરબજાર બાકાત રહેશે એવી આગાહી ખોટી પડી છે.ત્યારે આજે સેન્સેક્સ ૯૫૩ પોઈન્ટ ઘટી ૫૭,૧૪૫ અને નિફ્ટી ૩૧૧ પોઈન્ટ ઘટી ૧૭,૦૧૬ની સપાટીએ બંધ રહ્યા હતા.આમ સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી જોવા મળી હતી.આ ઘટાડાની સાથે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૫૯ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.બીજીતરફ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા ૪૦ વર્ષની સૌથી વધુ મોંઘવારી દૂર કરવા માટે માર્ચ મહિનાથી સતત વ્યાજના દર વધારવામાં આવી રહ્યા છે.જેમાં ગત સપ્તાહે વધુ ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત પછી વ્યાજનો દર વધવાનું ચાલુ રહેશે તેવો સંકેત આપ્યો હતો. આ સિવાય ગત સપ્તાહ દરમિયાન વિશ્વની આઠ જેટલી સેન્ટ્રલ બેંકોએ પોતાના અર્થતંત્રમાં વ્યાજદરના વધારાની જાહેરાત કરી હતી.તા.૩૦ સપ્ટેમ્બરે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા પણ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કરે તેવી શક્યતા છે.આમ વ્યાજના દર વધવાથી,નાણા પ્રવાહિતા ઘટવાથી લોકોની ખરીદી ઉપર તેમજ અર્થતંત્ર ઉપર અસર પડશે એવી ધારણા છે.આ સિવાય એવી પણ ધારણા કરવામાં આવી રહી છે કે ઊંચા વ્યાજદરના કારણે અર્થતંત્ર મંદીમાં સરી પડશે.જેની અસરથી વિવિધ કોમોડિટીઝના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.