લોકડાઉનના કારણે ખરીદીની પેટર્ન બદલાઈ રહી છે, લોકો જરૂરી સામાનનો સ્ટોક વધારે કરી રહ્યા છે
અદાણી ગ્રુપની FMCG બ્રાંડ અદાણી વિલ્મરના મતે કોરોનાના કારણે લાગેલા લોકડાઉનથી લોકોની ખરીદીની પેટર્નમાં બદલાવ થઇ રહ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે પહેલા લોકો જીવન જરૂરિયાતની વસ્તોનો એક સપ્તાહ અથવા તો ૫-૭ દિવસ ચાલે એટલો સ્ટોક કરતાં હતા. પરંતુ હવે ગ્રાહકો ૧૫ દિવસ માટે સ્ટોક કરતા થઇ ગયા છે. અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લીકે જણાવ્યું કે, સ્થિતિ ક્યારે સામાન્ય બનશે તે અંગે હજુ પણ અનિશ્ચિતતા હોવાથી લોકો જરૂરી સામાન વધુ દિવસો ચાલે તે રીતે ખરીદી રહ્યા છે.
લોકડાઉન હળવું થતા માગમાં થોડો સુધારો થયો છે
મલ્લીકે જણાવ્યું કે, છેલ્લા અમુક દિવસોથી લોકડાઉન હળવું થવાથી રોજ વપરાશની ચીજોની માગમાં ફરી વધારો થયો છે. અમે અનુભવ્યું છે કે લોકડાઉન જ્યારથી શરુ થયું છે ત્યારથી દરેક તબક્કે ઘરાકીમાં ભારે ચડાવ ઉતાર રહ્યા છે. મધ્ય માર્ચથી લઈને ૧ એપ્રિલ સુધી વેચાણ વધુ હતું. ત્યારે ગ્રાહકોએ તેમની જરૂરિયાત મુજબ કરિયાણાનો સ્ટોક કરી લીધો હતી. અમે ૨૫મી એપ્રિલથી ૩ મે સુધી ફરીથી માંગ વધતી જોઈ હતી, ત્યારબાદ વેચાણ ઘટ્યું છે. પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી ફરી માંગ આવી રહી છે.
હાલમાં ૫૦થી ૬૦% કામદારો સાથે ઉત્પાદન એકમો ચાલુ
અંગ્શુ મલ્લીક જણાવે છે કે, લૉકડાઉનની જાહેરાત થઈ તે સમયે અમારી ક્ષમતા વપરાશ લોજીસ્ટીકલ મુદ્દાઓને કારણે તાત્કાલિક ઘટીને ૫૦% થઈ ગઈ હતી. કાચો માલ ઉપલબ્ધ ન હતો અને કામદારોની અછત પણ નડી રહી હતી. શ્રમિકોની મોટાપાયે હિજરતને કારણે અદાણી વિલ્મર તેનું કામકાજ હાલમાં ૫૦થી ૬૦% કામદારો સાથે ચલાવી રહી છે. હાલમાં અમે ૭૦% ક્ષમતા સાથે કામ કરી રહ્યા છીએ અને વહેલામાં વહેલી તકે પૂર્ણ ક્ષમતાએ પહોંચવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
કંપનીએ ઉત્પાદનોનું પરિવહન ટ્રેન મારફતે શરૂ કર્યું
મલ્લીકે જણાવ્યું હતું કે “છેલ્લા થોડાંક અઠવાડિયામાં સપ્લાય ચેઈનની પરિસ્થિતિ સુધરી છે. ટ્રક ડ્રાઈવરો, કાચા માલ અને પેકેજીંગ સામગ્રીની ઉપલબ્ધિમાં અવરોધ નડી રહ્યો છે. કેટલાક લોજીસ્ટીક્સ મુદ્દાઓને હલ કરવા માટે અદાણી વિલ્મરે તેના ઉત્પાદનોનું પરિવહન ટ્રેન મારફતે શરૂ કર્યું છે. અમે ૩૦૦૦ ટનની ક્ષમતા ધરાવતી રેક્સના બદલે ૧૦૦૦ ટનની ક્ષમતા ધરાવતી મિની રેક્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. આને પરિણામે અમને મર્યાદિત ઉત્પાદન અને રવાનગીની ક્ષમતામાં સહાય મળી રહે છે.