પડતર માંગણીઓને લઈને વિજકર્મીઓ આંદોલનના માર્ગે
રખેવાળ ન્યુઝ પાલનપુર : સાતમા પગાર પંચના ભથ્થા સહિતની પડતર માગણીઓને લઈને વીજ કંપનીના કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. ત્યારે પાલનપુર ખાતે આજે વિજકર્મીઓએ રીસેસના સમયમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સંલગ્ન કંપનીઓના વીજ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર ખાતે પણ વીજકર્મીઓએ રીસેસના સમયમાં પોતાની માંગણીઓના સમર્થનમાં સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિજકર્મીઓ કાલથી ૪ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. અને માંગણી નહિ સંતોષાય તો ૨૧મી એ માસ સી.એલ.પર ઉતરશે. ત્યારબાદ અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ફરજ પડશે તેવું ડે. એન્જીનિયર, જીઇબી પાંથાવાડાના એન.એમ. પ્રજાપતિએ જણાવ્યું હતું.પોતાની માગણીઓને લઈને અત્યાર સુધીમાં ૪૪,૦૦૦ વિજકર્મીઓએ માસ સી.એલ મૂકી છે. ત્યારે વીજ કર્મીઓની માંગણીઓ સામે સરકાર કેવો રૂખ અપનાવે છે તે જાેવું રહ્યું.