
આજે શરદ પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓનુ ઘોડાપૂર ઉમટ્યું : બપોર પછી અંબાજી મંદિર સંપૂર્ણ રીતે બંધ
આસો સુદ પૂર્ણિમા એટલે કે શરદપૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. શરદ પૂર્ણિમામાં ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને કારણે યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. વેહલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ઉમટી પડ્યા હતા.શરદપૂર્ણિમાની રાત્રે દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહે છે. આજે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાના કારણે ગઈ રાત્રે અંબાજી મંદિરમાં ચંદ્રના કિરણોમાં ચાંદીના પાત્રમાં દૂધપૌંઆ મૂકીને માતાજીને ધરવામાં આવ્યા હતા. જે બાદ માતાજીને રાત્રીના 12 કલાકે કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આજે શરદ પૂર્ણિમા હોવાના લીધે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
આસો સુદ પૂનમ જે શરદપૂર્ણિમા તરીકે ઓળખાય છે. આજે શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિરમાં માતાજીની આરતી વેહલી સવારે 6:00 કલાકે કરવામાં આવી હતી. તો બપોરે માતાજીને 12:00 કલાકે રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાંજની આરતી 3:00 કલાકે કરવામાં આવશે. ત્યાર બાદ અંબાજી મંદિર સંપૂર્ણ રીતે બંધ રહેશે. આવતીકાલેથી અંબાજી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે.