
આજે લાભપાંચમ : દિવાળીના મિની વેકેશન બાદ આજથી બજારો ફરી પાછા ધમધમશે
સવંત ૨૦૮૦ ના કારતક સુદ પાંચમ ને શનિવાર ના દિવસે થી દિવાળીના મિની વેકેશન બાદ ફરીવાર બજારો માં ધમધમાટ જોવા મળશે.
આપણા હિન્દુ શાસ્ત્રમાં લાભપાંચમનો દિવસ પવિત્ર ગણવામાં આવે છે જેથી વેપારીઓ દુકાનદારો આજના શુભ મુહૂર્ત નો પેઢીઓ દુકાનો આફીસો ખોલી નવા વર્ષના ધંધાની શરૂઆત કરતા હોય છે. જેથી શહેરોમાં લાભપાંચમના દિવસથી ધંધા રોજગાર ધમધમવા લાગે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીથી લાભપાંચમ સુધી શહેરોની મુખ્ય દુકાનો, કારખાનાઓ, પેઢીઓમાં વેપાર-ધંધા બંધ રહેતા હોય છે ત્યારે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં પૂજન અર્ચન સાથે વેપાર ધંધાનો પુનઃ આરંભ કરતા હોય છે.
દિવાળીના મિની વેકેશનમાં વેપારીઓ સહિત કારીગરો બહાર ફરવા જતા હોય છે અને રજાઓનો આનંદ માણતા હોય છે. વર્ષ દરમિયાન સતત ધંધા-વેપારમાં રચ્યા પચ્યા રહેતાં લોકો દિવાળીના દિવસોમાં પરિવાર સાથે હરવા-ફરવા જેતા હોય છે. જેથી બજારો પણ સુમસામ જોવા મળતી હોય છે પરંતુ લાભપાંચમના દિવસથી રાબેતા મુજબ ધંધા-રોજગાર સંભાળી લેતા હોય છે. જેથી લાભપાંચમથી ફરી પાછી બજારોમાં રોનક જોવા મળતી હોય છે. આજના દિવસે દુકાનો, પેઢીઓ અને કારખાનાઓમાં નવા વર્ષના શુભ મુહૂર્ત થશે. વળી, આજના દિવસને જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખાય છે. તેથી સરસ્વતી દેવીનું પૂજન થાય છે. આ ઉપરાંત જૈન સમાજના લોકો આ દિવસે જિનાલયમાં જઇ જ્ઞાનની પુજા કરતા હોય છે. આજના શુભ દિવસે અનેક લોકો નવા વાહનોની ખરીદી કરશે તો અનેક લોકો નવા ધંધા રોજગાર ચાલુ કરશે.