બનાસકાંઠાના થરાદમાં મોબાઇલના વેપારીઓનું સજ્જડ લોકડાઉન
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદમાં ગત મહીનામાં તંત્રના કહેવાથી નગરના વેપારીઓ દ્વારા છ દિવસનું સજ્જડ સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એક સપ્તાહ બપોર સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. પરંતુ નગરના મોબાઇલના વેપારીઓ અભુતપુર્વ પ્રતિસાદ આપતાં પખવાડીયું થવા છતાં પણ આજ સુધી તેમની દુકાનો જ ખોલી નથી. આ અંગે થરાદના મોબાઇલના વેપારી નરેશભાઈ રાજપુતે જણાવ્યું હતુ કે મોબાઇલના તમામ વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ પંદર દિવસનું લોકડાઉન કરાયું હતું. આથી થરાદના ૧૧૦ જેટલા મોબાઇલના વેપારીઓએ શો રૂમ તેમજ પોતાની દુકાનો સતત પંદર દિવસ સુધી રાખ્યા બાદ વધુ સાત દિવસનું ફરીથી લોકડાઉન કરવાનો ર્નિણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીયછેકે થરાદમાં વકરતી જતી કોરોનાની પરિસ્થિતી વચ્ચે હોસ્પીટલો દર્દીઓથી ઉભરાતાં ઓક્સિજન અને ઇંજેક્શન તથા હોસ્પીટલોમાં જગ્યા પણ મળતી નથી. આથી આ સંક્રમણને વધતું અટકાવવા માટે ચેઇન તોડવી જરૂરી હોઇ વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હતી. જ્યારે થરાદના અન્ય વેપારીઓની સાથે સાથે કરીયાણા અને સોનાચાંદીના વેપારીઓ સવારના આઠથી અને બપોરે બે વાગ્યા સુધી પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખી રહ્યા છે. આ અંગેની થરાદના વેપારી એસોસિયેશનના પ્રમુખ નંદુભાઈ મહેશ્વરી અને સુવર્ણકાર મંડળના પ્રતાપભાઈ સોની દ્વારા થરાદના પ્રાંત અધિકારી અને થરાદ નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાને જાણ પણ કરી હતી. જ્યારે થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતે પણ પોતાની દુકાન સતત પંદર દિવસ સુધી લોકડાઉન રાખીને અન્ય વેપારીઓને પણ તેનું અનુકરણ કરવાની પ્રેરણા આપી હતી.