બનાસકાંઠામાં પીએફઆઈ સાથે જાેડાયેલા ત્રણની અટકાયત કરી
દેશભરમાં પીએફઆઈ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો રેલો પાકિસ્તાનની સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યો છે. જેમાં ૦૩ શંકાસ્પદ શખ્સો ની એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ હોવાના ચોંકાવનારા અહેવાલો ચર્ચાની એરણે ચડ્યા છે. જોકે, દેશવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો અતિ સંવેદનશીલ મામલો હોઈ સ્થાનિક પોલીસ ગુપ્તતા સેવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પીએફઆઈ સામેની તપાસનો રેલો ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. એઆઈએ દ્વારા બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે. એનએઆઈ દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી પણ ૦૩ શંકાસ્પદ લોકોની પુછપરછ કરાઈ હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દેશના અનેક રાજ્યોમાં પીએફઆઈના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો પર પોલીસના દરોડા ચાલુ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૫ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આજે બનાસકાંઠા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પાલનપુર અને ડીસામાંથી ૩ શકમંદોને ઝડપી લીધા છે.
મામલા ની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને પોલીસે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આ તપાસ દરમ્યાન બનાકાંઠામાંથી પીએફઆઈ સાથે સંકળાયેલા હોવાનું મનાતા શંકાસ્પદ ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. એસઓજી પોલીસે ત્રણ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવાના અહેવાલ સામે આવ્યા છે. તો બીજી તરફ આ મામલો અતિ સંવેદન શીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. એસઓજીની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે એટીએસને સોંપવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, સ્થાનિક પોલીસે અતિ સંવેદનશીલ મામલે ગુપ્તતા રાખવાનું મુનાસીબ માન્યું હોઈ વધુ વિગતો મળી ન હોવાનું જાણવા મળેલ છે. જોકે, સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના તાર જોડાયેલા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.