
સરકાર ખોટો કેસ પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વસવાટ કરતા મોટાભાગના આદિવાસી લોકો પશુપાલન અને ખેતીવાડી કરી પોતા નું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં આજે આદિવાસી સમાજના આગેવાનોએ ભેગા થઈને ડેડીયાપાડા ધારાસભ્ય ના સમર્થનમાં દાંતા ખાતે આવેલી પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
દાંતા તાલુકાના આદિવાસી સમુદાયના લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યુ હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટો કેસ કર્યો છે અને સરકાર તે કેસ પાછો ખેંચે. સાથે-સાથે આદિવાસી આગેવાનોએ સરકારને ચીમકી આપતા કહ્યું હતું કે જાે સરકાર ચૈતર વસાવા પર કરેલા ખોટા કેસો પાછા નહીં ખેંચે તો આગામી સમયમાં અંબાજીથી ઉમરગામ સુધી ગાંધીજીના માર્ગે આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સાથે-સાથે સરકાર દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં મોટા-મોટા પ્રોજેક્ટ લાવીને આદિવાસી ગરીબ લોકોને ઘરવિહોણા કરી અને તેમની રોજીરોટી છીનવાની કોશિશ કરી રહી છે તે તદ્દન ખોટું છે તેમ ઉમેરી રોષ વ્યકત કર્યો હતો.