
આઝાદી વખતનો સૌથી જૂનો લાલ ડંડાનો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો, કલેક્ટરે કર્યુ સ્વાગત
આજે ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. ત્રણ દિવસમાં 13.50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં દર્શન કરી ચુક્યા છે. ત્યારે આજે સૌથી જૂનો સંઘ અંબાજી પહોંચતા જ ખુશીનો માહોલ છવાયો હતો. ભારત દેશની આઝાદી પહેલાથી ચાલતો લાલ ડંડાનો પગપાળા સંઘ અમદાવાદથી અંબાજી પહોંચ્યો હતો. આ સંઘે આજે માં અંબાના શિખરે 52 ગજની ધજા અર્પણ કરી છે. આ સંઘનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે આ સંઘ દાંતા પહોંચતા સ્ટેટ વખતના રાજવી પરિવારના રાજા રિદ્ધિરાજ સિંહજી દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ સંઘ આજે અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા. આ પણ એક જૂની પરંપરા ચાલી રહી છે ને ત્યાર બાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 189 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ ડંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ માં જગત જનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિર પહોંચી વિધિવતરૂપે લાલ ડંડા વાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચઢાવે છે. કહેવાય છે કે, દેશમાં પલેગ નામની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે માં અંબાને બાધા માંગવામાં આવી હતી. માં અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાત્મો થતાં તેમણે બાધા પુરી કરવા પગપાળા અંબાજી આવી માતાજીનો આશિષ મેળવ્યો હતો. ત્યારથી સતત દર વર્ષે લાલ ડંડાવાળો સંઘ અંબાજી આવે છે.