બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ભરાવવાની આશા જીવંત બની
રખેવાળ ન્યુઝ વડાવલ : બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા અને સીપુ જળાશય પૈકી દાંતીવાડા જળાશયમાં અત્યાર સુધી ૬૦ ટકા જેટલું પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા જળાશયના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નવા નીર આવ્યા હતા. આ વર્ષે રાજસ્થાન રાજ્યમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળ્યો હતો. જેને લઇને દાંતીવાડા જળાશયમાં અત્યાર સુધી પ૮૮ ફૂટ પાણી આવ્યંુ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે. ભાદરવા માસમાં થયેલા ભરપૂર વરસાદથી નદી નાળાઓ છલકાઇ ઉઠ્યા હતા. દાંતીવાડા જળાશયના
ઉપરવાસમાં આવેલ બાલારામ અને બનાસ નદીમાં ભરપૂર પાણી આવતા જિલ્લાવાસીઓને દાંતીવાડા ડેમ ભરાઈ જવાની શક્યતાઓ હતી પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લેતા જિલ્લા વાસીઓની આશા અધૂરી રહી જાય તેવી સંભાવના રહેલી હતી પરંતુ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થતા દાંતીવાડા જળાશય ભરાઈ જવાની આશા જીવંત બની છે. ગતરોજ પડેલો વરસાદ પણ દાંતીવાડા વિસ્તારમાં સૌથી વધુ જોવા મળ્યો હતો અને ઉપરવાસમાં પણ ખૂબ સારો વરસાદ હતો. જેને લઈ ડેમમાં નવી આવક શરૂ થઇ હતી હવામાન વિભાગ અને ખગોળવૈજ્ઞાનિકો દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે. કે જો આગામી સમયમાં પણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે દાંતીવાડા જળાશય ના ઉપરવાસમાં વરસાદ થાય તો ડેમ ભરાવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.