
થરાદ પાલિકા સફાઇ કામદાર મોત પ્રકરણ : કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
થરાદ નગરપાલિકાની ભુગર્ભ ગટરમાં સફાઇકામદારનું ગેસ ગળતરના કારણે ગુંગળામણ થતાં મોત નિપજ્યું હતું.આ બાબતે થરાદ પોલીસે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે આ મામલે નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ સામે પણ તપાસ કરવાનો અને બેદરકારી નિકળશે તો કાર્યવાહીનો સંકેત આપતાં ફફડાટ પ્રસરવા પામ્યો હતો. ગત બુધવારની બપોરે થરાદમાં ધરણીધર સોસાયટીની પાછળ ભુગર્ભ ગટરલાઇનના ખાનગી એજન્સીના સફાઇ કામદાર બામણીયા ઉમેશકુમાર હિંમતસિંહ રહે.બામણીયા જાડા ખેરીયા દાહોદ (સાબરકાંઠા) ઉ.વ.૨૪ નું પંદર ફુટ ઉંડી ગટરમાં પડતાંગૅસ ગળતરના કારણે શ્વાસ રુંધાતાં ગુંગળામણના કારણે કરૂણ અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેને બચાવવા સુપરવાઇઝર કલ્પેશ પરમાર ગટરમાં ઉતર્યો હતો.આથી તેનો પણ શ્વાસ રુંધાતાં તે મહામુસીબતે જીવ બચાવવા બહાર નિકળી ગયા બાદ પણ હજુ સુધી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. જાે કે તબીયતમાં થોડો સુધાર જણાતાં તેને બે દિવસ પહેલાં વેલ્ટીનેટરમાંથી બહાર લવાયો છે. આ બનાવ અંગે મૃતકના પિતા હિંમતસિંહએ થરાદ મથકમાં કોન્ટ્રાક્ટર અને તપાસમાં જેની પણ બેદરકારી નિકળે એ તમામ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ ક્યુ એજન્સીના કોન્ટ્રાક્ટર અમીત પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પર એફએસએલ બોલાવી પંચનામાં કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેવાયાં છે. જ્યારે કોન્ટ્રાક્ટરને પકડવા માટે એક ટીમ પણ અમદાવાદ મોકલવામાં આવી છે. આ ઘટનામાં પાલિકાના જવાબદાર સરકારી કર્મચારીઓનાં પણ નિવેદન લેવામાં આવશે અને જે પણ જવાબદાર હશે તે તમામની સામે પણ પગલાં ભરવામાં આવશે.
તાત્કાલિક ધોરણે સરકારની સુચના મુજબ પાલિકા દ્વારા એજન્સીને અરજન્ટ નોટીસ આપતાં બીજા જ દિવસે ૧૦.૬૧લાખ રૂપીયા સ્થળ પર મૃતકના પરિવારને ચુકવવામાં આવ્યા હતા. જ્યારે એજન્સી દ્વારા મૃતકનો ૧૦ લાખનો વિમો પણ લેવાયો છે. જે માટે પણ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જાે કે મશીનની આંટી આવવાથી યુવક પડી ગયો હોવાનું જાણવા મળતાં સુપરવાઇઝર ભાનમાં આવ્યેથી મૃતક પડી ગયો હતો કે ઉતર્યો હતો તેની સાચી માહિતી જાણી શકાશે તેમ ચીફ ઓફીસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું.