પાલનપુર માર્કેટયાર્ડમાં બોગસ મતદારો ઉભા કરાતા હડતાળ
પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે માર્કેટયાર્ડમાં ૧૯૦ જેટલા બોગસ ચૂંટણીલક્ષી લાઈસન્સ ઇસ્યુ કરી તેઓનો મતદારયાદીમાં સમાવેશ કરતા વેપારીઓ ભડકી ઉઠ્યા હતા. વેપારી ઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જઈ વિરોધ વ્યક્ત કરતા શ્રમિકો અટવાયા હતા. જ્યારે માર્કેટયાર્ડનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર પણ ઠપ્પ થઈ ગયું છે. આગામી ૧૮ સપ્ટેમ્બરે પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને મતદારયાદી પ્રસિદ્ધ થતાં મતદારયાદીમાં ૧૯૦ જેટલા બોગસ મતદારોના નામ ઘુસાડવાના આક્ષેપ સાથે પાલનપુર માર્કેટયાર્ડના વેપારીઓ એ પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દીધું હતું. જ્યાં સુધી માર્કેટયાર્ડની ચૂંટણીની મતદાર યાદીમાંથી આ બોગસ નામો કમી નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ જારી રાખવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી હોવાનું ડિરેકટર અને વેપારી વિજયભાઈ પટેલ અને વેપારી એશોસીએશનના મંત્રી નરસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. પાલનપુર માર્કેટયાર્ડમાં ચૂંટણીમાં પ્રસિદ્ધ થયેલી મતદારયાદીને લઈને વિવાદ વકર્યો છે. અને મતદારયાદીમાં ૧૯૦ બોગસ લાઇસન્સવાળા નામો ઘૂસી જતાં વેપારીઓ વિરોધ જતાવતા હડતાળ પર ઉતર્યા છે. જાેકે વર્તમાન ચેરમેન ફતાભાઈ ધરીયાના મત વિસ્તાર ના મોટા ભાગના નામો મતદાર યાદીમાં ઘુસાડી દીધા છે. અને જેને લઇને વિરોધ થયો છે. સાચા વેપારીઓ ચૂંટણી ન લડી શકે તેવો કારસો રચાયો છે. ત્યારે વર્તમાન ચેરમેન આક્ષેપોને નકારી રહ્યા છે. અને સમગ્ર મામલો જિલ્લા રજિસ્ટર પર ઢોળી રહયા છે.
પાલનપુર માર્કેટયાર્ડમાં સત્તા હસ્તગત કરવા માટેના રાજકીય કાવાદાવા વચ્ચે ખેડૂતો અને શ્રમિકો અટવાયા, કરોડોનું ટર્ન ઓવર ઠપ્પ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનના શ્રમિકો સહિત સ્થાનિક શ્રમિકો પાલનપુર માર્કેટયાર્ડમાં મજૂરી કરે છે. કોરોના સંક્રમણમાં બેકાર બનેલાં આ શ્રમિકો પણ હડતાળને પગલે બેરોજગાર બન્યા હોવાનું પંડિતજી નામના બિહારી શ્રમિકે જણાવ્યું હતું. જાેકે, જિલ્લા રજીસ્ટ્રાર આર.પી. ખરાડીએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસ સમિતિની રચના કરી છે. જે સમિતિ ત્રણ દિવસમાં તપાસ કરીને સમગ્ર રિપોર્ટ આપશે. આમ, પાલનપુર માર્કેટયાર્ડમાં સત્તા હસ્તગત કરવા માટેના રાજકીય કાવાદાવા વચ્ચે ખેડૂતો અને શ્રમિકો અટવાયા છે. અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે.