
બનાસકાંઠા જિલ્લાનું સોયલા આદર્શ ગોકુળીયું ગામ બન્યું
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સોયલા ગામના લોકો અને ગામના સરપંચ સહિત પંચાયત સભ્યોના અથાગ પ્રયત્નો થકી સંપૂર્ણ ગામ આજે સરકારના અભિગમ મુજબ આદર્શ ગામ બન્યું છે. ગામમાં બધી જ પ્રાથમિક સુવિધાઓ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ગામની સૌથી અગત્યની બાબત એ છે કે સંપૂર્ણ પંચાયત સમરસ બનાવવામાં આવી છે સરપંચ સહિત પંચાયત સભ્યો બિનહરિફ ચૂંટાયા છે અને એટલે ગામના લોકો વચ્ચે અદભુત એકતા જોવા મળે છે.આપણા દેશ ભારતનું અર્થતંત્ર એ કૃષિ ઉપર ર્નિભર છે. તેથી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર માતબર ગ્રાન્ટ ફાળવે છે પરંતુ ગામડાઓના મુખ્ય આધાર સ્તમ્ભ ગણાતી ગ્રામ પંચાયતોના પદાધિકારીઓના કારણે ગામડાનો વિકાસ તો દૂર લોકો પ્રાથમિક સવલતો માટે પણ ટળવળે છે પણ રણમાં મીઠી વિરડી સમાન ઘણા ગામના હિતેચ્છુ પદાધિકારીઓ ગ્રાન્ટનો સદુપયોગ કરીને ગામની કાયાપલટ કરી હોવાના પણ દાખલા છે.
લોકોની મુખ્ય જરૂરીયાત પીવાનું શુદ્ધ પાણી, ગટર, રસ્તા, બાળકોને સારું શિક્ષણ, આરોગ્ય સેવા, સ્વચ્છતા અને વીજળી છે. જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. આ સમગ્ર યોજનાઓના લાભ થકી પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા સ્વપ્ન મુજબ આદર્શ ગામનું નિર્માણ થઈ શકે છે.જે સોયલાના સરપંચે સાકાર કરી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી છે.જેથી ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંપૂર્ણ શ્રેય યુવા સરપંચ નારણભાઈ જોષીને જાય છે.જો કે તેઓ જણાવે છે કે આજે અમારા ગામમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં હું સરપંચ તરીકે નિમિત્ત બન્યો તે સાચું છે. પરંતુ ગામને સુંદર અને સ્વચ્છ બનાવવા અમારા સંપૂર્ણ ગામના લોકોને હું જસ આપું છું. સરપંચ સહિત સભ્યોને બિન હરિફ કરી ગામમાં સમરસતાનો ભાવ ઊભો કરી ગામે જે બિન હરિફ પંચાયત બનાવી છે જે અમારા ગામના એક દરેક નાગરિકે કરેલી વિકાસ માટેની સુંદર તક છે.
સોયલા ગ્રામ પંચાયત એ જૂની ભીલડી ગ્રામ પંચાયતમાંથી ૭ વર્ષ અગાઉ વિભાજિત થઈ હતી. વિભાજન બાદ પ્રથમ વાર ગામમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યાર બાદ વર્તમાન સમયમાં સંપૂર્ણ પંચાયતની બૉડી બિનહરીફ ચૂંટાઈ છે. હાલમાં ગામના સરપંચ તરીકે નારણભાઈ જોષી અને ડેપ્યૂટી સરપંચ તરીકે પરસોતમ ભાઈ જોષી કાર્યરત છે.ગ્રામ પંચાયત દ્વારા ગામનો વિકાસ કરવામાં સૌથી મોટો ફાળો વર્તમાન સરપંચનો હોવાનું આ ગામના લોકો જણાવે છે.
ગામમાં વિકાસ થયો, કામ બોલે છે લોકો બોલે છે
‘રખેવાળ’ના વિશેષ કાર્યક્રમ “ગામની ભાગોળે” કે જેમાં ‘રખેવાળ’ ગામના ચોરેથી એટલે કે ગામની ભાગોળે ગામના લોકોને એકઠા કરી સરપંચ અને પંચાયતના કામોને લઈ લોકોને સવાલ- જવાબ કરે છે જે દરમિયાન આ ગામના લોકોના અભિપ્રાય જાણતા ગામના બધા જ લોકો સરપંચના કામથી ખૂબ જ ખુશ અને સરપંચ સહિત પંચાયતની કામગીરીથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે.
બધીજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ
૯૦૦ ની સંખ્યાનું મતદાન અને ૩૦૦ ઘરની વસ્તી ધરાવતા આ ગામનો વિકાસ સ્વયં એક સુંદર અને ગોકુળીયુ ગામ હોવાનું સાબિત કરે છે. ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટો, પાણીના નળ, સફાઈ કામદારો દ્વારા રોજે રોજ ગામની સફાઈ કામગીરી સહિતની અનેક સવલતો સુંદર આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે.