પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારની વર્ષો જૂની વિવાદિત દુકાનોનું દબાણ હોબાળા બાદ દૂર કરાયું
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં મંદિર સહિત સાત દુકાનો દબાણને લઈ વર્ષોથી વિવાદમાં હતી. જોકે, કોર્ટના આદેશ મુજબ પાલિકાએ વેપારીઓને નવી જગ્યા ફાળવતા આખરે માર્ગ મોકળો થયો હતો. અને મંગળવારે દુકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
પાલનપુર ખાતે સીમલાગેટથી દિલ્હીગેટ જતાં માર્ગે લાલ દવાખાના આગળ બનાવેલી સાત દુકાનો છેલ્લા 10 ઉપરાંત વર્ષથી દબાણના મુદ્દે વિવાદિત બની હતી. આ દુકાનો નવા ડી. પી. રોડમાં પણ નડતર રૂપ બનતી હોઈ તેને તોડી પાડવા માટે પાલિકા દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવતી હતી.
જોકે, વેપારીઓ પણ કોર્ટનું શરણ લેતા હોઈ દબાણ હટાવવાની કામગીરી શક્ય બનતી ન હતી. કોર્ટના આદેશ મુજબ અગાઉ વેપારીઓને સંજય ચોકથી આગળ જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે, ત્યાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતાં કોકડું ગૂંચવાઈ ગયું હતું. જે બાદ નગરપાલિકા દ્વારા અવાર નવાર વેપારીઓને આખરી નોટિસ આપી દુકાનો તોડવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ વેપારીઓ કોર્ટમાં ઘા નાંખ્યા કરતા હતા.
જોકે, આખરે કોર્ટના હુકમ મુજબપાલિકાએ વેપારીઓને નવી જગ્યા ફાળવતા આખરે માર્ગ મોકળો થયો હતો. અને મંગળવારે દુકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં સાંજના સુમારે પોલિસ પ્રોટેક્શન સાથે પાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. સૌ પ્રથમ તમામ માલ સામાન બહાર કઢાવી ત્યાર બાદ દુકાનો તોડવામાં આવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
પાલનપુર શહેરમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી દુકાનોને તોડી પાડવા માટેની નોટિસ પાઠવી દેવાયા બાદ વેપારીઓ એ વૈકલ્પિક જગ્યાની માંગણી કરી હતી. જે માંગણી સંદર્ભે પાલિકાની કારોબારીએ વડલીવાળાપરા વિસ્તારમાં જગ્યા ફાળવી છે. જ્યાં પાલિકાની ટીમે વેપારીઓને સાથે રાખી જે જગ્યા પર દુકાનો ફાળવવાની છે. ત્યાં માર્કિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અને મંગળવારે આખરી કાર્યવાહી હાથ ધરી દુકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલનપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સતીશભાઈ એન. પટેલે જણાવ્યું હતું.
કોરોના મહામારીને પગલે વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા 15 દિવસથી સરકાર દ્વારા છૂટછાટ અપાતા વેપારીઓને થોડી ઘણી રોજી રોટી મળી રહે છે. ત્યારે આવી કપરી સ્થિતિમાં દુકાનો તોડી પાડવામાં આવતાં વેપારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.