ધાનેરાથી ફતેપુરાને જોડતા રોડની હાલત બિસ્માર : વાહન ચાલકો પરેશાન
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરાથી ફતેપુરાને જોડતો રોડ બિસ્માર હાલતમાં બનતા ત્યાંથી પસાર થતાં વાહનચાલકો તેમજ અવર જવર કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા પાસે રેલવે ઓવર બ્રિજ બની રહ્યો છે. જેને લઇ આજથી છ મહિના અગાઉ તંત્ર દ્વારા ભારે વાહનો માટે ડીસા થરાદથી સાચોર અને સાંચોર થરાદથી ડીસા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને સામાન્ય વાહનો માટે સામરવાડા ફતેપુરાથી ધાનેરા ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ ભારે વાહનો ચાલતા સામરવાડા ફતેપુરાથી ધાનેરા આવતા ફતેપુરાથી ધાનેરાને જોડતો માર્ગ તેમજ ફતેપુરાથી સામરવાડાને જોડતો માર્ગ તૂટી જવા પામ્યો છે અને આ માર્ગ તૂટી જતાં સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તો બીજી તરફ ત્યાંથી પસાર થતા નાના વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉચ્ચ પાળિયા તળાવ નજીક રોડ તુટી જતાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડામાં વરસાદી પાણી ભરાઇ જવાથી કીચડ જેવો માહોલ થયો છે. આ જગ્યા પરથી પસાર થતાં લોકો તેમજ નાના વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ત્યાં જો નાના વાહન ચાલકો વાહનો ફસાઇ જાય તો લાંબા સમય સુધી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યાંથી અવરજવર કરતા લોકો પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે અથવા તો નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.