તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેને લઇ યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી આજે યાત્રાધામ અંબાજીની મુલાકાત કરી હતી નાં સાંસદ સભ્યો અને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. ૩૦ સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ રૂા. ૭૯૦૮ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રૂા. ૧૯૬૭ કરોડના ખર્ચે બનેલા ૮૬૩૩ આવાસોનું ખાતમુહૂર્ત અને ૫૩૧૭૨ આવાસોનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તે સિવાય રૂા. ૧૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાત મુહૂર્ત અને રૂા. ૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કરવામાં આવશે.
નવી તારંગા હિલ – આબુ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરાશે
કેન્દ્ર સરકારે નવી તારંગા હિલ- આબુ રેલવે લાઇનને મંજૂરી આપી છે. તેનાથી રોજગાર નિર્માણની સાથે, નાગરિકોને પરિવહન માટે નવી સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે. ?૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં રૂા. ૧૦૦૦ કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે.
અંબાજીમાં વડાપ્રધાન ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે
અંબાજી ખાતે જાહેરસભામાં વડાપ્રધાન દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે ૭થી ૭.૩૦ વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેવા જશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન ૫૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે. અંબાજીમાં જાહેરસભા, ત્યારબાદ વડાપ્રધાન ગબ્બર મહાઆરતીમાં ભાગ લેશે.