ભારતમાલામાં કામ કરતા શ્રમજીવી પર હુમલો કરાતા પોલીસ તપાસ શરૂ
(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદના ખાનપુર ગામની સીમમાં ભારતમાળા રોડની કામગીરી કરી રહેલા એક પરપ્રાંતીય શ્રમિકને રોડનું કામ નહી કરવાનું અને જતા રહેવાની અને મારવાની ધમકી આપીને કેંપની બાજુમાં ખેતર ધરાવતા ચાર વ્યક્તિઓએ હુમલો કરી હાથે ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. પોલીસે ચારેય સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે, ભારતમાળા રોડનું કામ રવિ ઇન્ફ્રા પ્રા.લિ.નો પેટા કોન્ટ્રાક્ટર બાકે બિહારી વિજન મથુરા કંપનીને મળેલ હોવાથી રોડની સાઇડમાં રેલીંગનું કામ બબલુ લુટનપ્રસાદ શ્રીવાસ (ધોબી) રહે.ખંડેહ તા મોગડા જી.હમીરપુર ઉત્તરપ્રદેશ હાલ રહે.ખાનપુર ગામની સીમ ભારતમાળા રોડ પર કરી રહ્યો હતો. આ વખતે સવારના આશરે નવેક વાગ્યાના સુમારે કેંપની બાજુના ખેતરવાળા બાબુભાઇ નરસેંગભાઇ પરમાર તથા હેમજીભાઇ નરસેંગભાઇ પરમાર,નરસેંગભાઇ માધાભાઇ પરમાર અને મોન્ટુ હેમજીભાઇ પરમાર એ ચારેય જણ રોડ પર બનાવેલ કેંપ ઉપર આવ્યા હતા.
અને અહિંયા રોડનું કામ નહી કરવાનું અને જતા રહેવાની અને મારવાની ધમકી આપતા હતા.આથી તેમણે તેના શેઠને વાત કરવાનું કહેતાં એકદમ ઉશ્કેરાઇને હાથમાંના ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો.આથી ગભરાયેલા કેંપના અન્ય માણસોએ હાથ જોડી કરતાં આ જગ્યા છોડીને જતા રહેજો નહીતો બધાંને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા.જ્યારે ઇજાના કારણે બબલુને થરાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ જતાં ડાબાહાથે ફ્રેક્ચર જણાતાં ઓપરેશન કરાવવાની નોબત આવી હતી.