
ડીસામાં આખોલ સર્કલ ઉપર કાયમી ટ્રાફિક ચક્કાજામ
ડીસાથી રાજસ્થાનને જાેડતા હાર્દસમા આખોલ સર્કલ ઉપર રોજિંદી ટ્રાફિકની સમસ્યાને લઈ વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રોજબરોજ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. ત્યારે ટ્રાફિકની આ કાયમી સમસ્યાના ઉકેલ માટે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસાથી રાજસ્થાન, કચ્છ અને માવસરી બોર્ડરને જાેડતા મુખ્ય રોડ ઉપર આવેલ આખોલ સર્કલ જે જુના આરટીઓ સર્કલ તરીકે પણ ઓળખાય છે. જાેકે સતત વાહનોથી ધમધમતા આ સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા રોજિંદી બની જવા પામી છે. અહીં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અગાઉ રાધનપુર-કંડલાને જાેડતો બ્રિજ પણ બનાવ્યો છે તેમછતાં પણ ટ્રાફિકની સમસ્યા ઘટવાની જગ્યાએ વધી જવા પામી છે. હાલમાં દિવાળીના તહેવાર સાથે બટાકા વાવેતરની સીઝન પણ છે. જેના લીધે પણ વાહનોનો ધસારો વધુ હોય છે. પરંતુ આ સમસ્યા આ સર્કલ ઉપર રોજિંદી છે કેમ કે કંડલા, રાધનપુર અને ભીલડી તરફ જતા ભારે વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય છે. પરંતુ એસ.ટી બસો તથા ખાનગી વાહનો પેસેન્જર લેવા માટે બ્રિજ નીચેથી પસાર થાય છે. તેના લીધે પણ ટ્રાફિક સમસ્યા વધી છે. આ ઉપરાંત થરાદ, રાજસ્થાન તરફ જતા વાહનો માટે એક માત્ર રોડ બ્રિજ નીચેથી પસાર થાય છે. આ ઉપરાંત આ સર્કલ ઉપર ખાતર બિયારણ, ટ્રેકટર ગેરેજ અને બેંકો પણ આવેલી છે. જેના લીધે પણ ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. આસપાસના ખેતરોના ખેડૂતો અહીં દિવસ દરમિયાન ટ્રેકટર સહિતના વાહનો લઈ આવતા હોઇ ભારે ટ્રાફિક સર્જાય છે વળી, આ ટ્રાફિક જામ માટે સૌથી મહત્વની બાબત એ છે કે અહીં આવેલા ભડથ, ડાવસ સહિત નદીકિનારાના ગામના લોકો સર્કલથી ફરીને જવાને બદલે સીધા મહાકાળી મંદિર નજીકના રોડથી રોંગ સાઈડમાં જાય છે. જેના લીધે પણ ટ્રાફિક સમસ્યા વકરે છે. આ ઉપરાંત અહીં બનાસ નદીમાંથી રેતી ભરી જતા ટ્રકો, ડમ્પરો પણ ફરીને જવાને બદલે સીધા રોંગ સાઈડના રોડથી રાજસ્થાન તરફ જતા હોઇ ટ્રાફિક કરે છે તેમજ અહીંથી પસાર થતા મોટભાગના વાહનો નિયમ પાલન કરતા નથી. જલ્દી જવા માટે રોંગ સાઈડમાં પણ પસાર થાય છે. જાેકે આવા ઘણાબધા કારણો રોજિંદી ટ્રાફિક સમસ્યા સર્જે છે. ત્યારે અહીં કાયમી ટ્રાફિક પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તે જરૂરી છે. જેથી ટ્રાફિકનું સુચારૂ રૂપથી નિયમન થઈ શકે. આમ આખોલ સર્કલ ઉપર માથાના દુખાવા સમાન બનેલી આ ટ્રાફીક સમસ્યા વાહનચાલકો, સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. જેથી એવી માંગ પણ ઉઠવા પામી છે કે વહીવટીતંત્ર સત્વરે કાયમી ધોરણે આ ટ્રાફિકનું નિયમન કરાવે અને કાયમી ટ્રાફિક પોઇન્ટ મૂકે તે અત્યંત જરૂરી છે.
પેસેન્જર વાહનો અને સટલિયા રીક્ષાનો ખડકલો
આ સર્કલ ઉપર પેસેન્જર ઇકો, કાર તથા સટલિયા રિક્ષાઓ પણ આડેધડ રોડ ઉપર પેસેન્જર માટે ઉભી રહેતી હોઈ ટ્રાફિક માં અવરોધ ઉભો થાય છે. જેને પણ નિયત સ્ટેન્ડ આપી ટ્રાફિક સમસ્યા હળવી બનાવી શકાય તેમ છે. તેમ રાહદારીઓ સાથે દુકાનદારોએ જણાવ્યું હતું.