થરાદના માર્ગો પરથી નવ મહાકાય ઓબજરવર પસાર થયાં : પાંચ કલાકનો વિજકાપ
(રખેવાળ ન્યૂઝ)થરાદ, થરાદમાંથી થોડા સમય પહેલાં બે રિએક્ટર પસાર કરાયા બાદ આ વખતે એક બે નહી પણ પુરાં નવ ઓબજરવર પસાર કરાવવામાં આવ્યાં હતાં. જેને લઇને રવિવારે બપોરે એક વાગ્યા સુધી નગરમાં વિજકાપ અપાયો હતો. જેની પણ વિજકંપની દ્વારા જાણ કરવામાં આવી હતી.
થરાદ વાવના રાષ્ટ્રીયધોરી માર્ગ પરથી મુંદ્રા પોર્ટથી આવીને રાજસ્થાનમાં પચપદ્રા કેંદ્ર સરકારની રિફાઇનરી સુધી લઇ જવા માટે થરાદ શહેરમાંથી અગાઉ વેસલ્સ અને રિએક્ટર જેવાં સાધનોને લઇ જવામાં આવ્યાં હતાં.આ વખતે એક બે નહી પણ એક સાથે નવ ઓબજરવર રવિવારે સવારથી શહેરમાંથી પસાર કરાવવામાં આવ્યાં હતાં. જ્યારે થરાદની નર્મદા કેનાલ પાસેથી બુઢણપુર સુધીની રસ્તામાંથી પસાર થતી તમામ વિજલાઇનો કાપીને આ ઓબજરવર પસાર કરાવનાર હોવાના કારણે વિજકંપની દ્વારા સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેવાની જાહેરાત પણ શનિવારે કરવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમન કરાવીને વાહનોને પસાર કરાવવામાં આવ્યું હતું.
આ અંગે કોન્વોય મેનેજર બાલા મુર્ગને જણાવ્યું હતું કે એક ઓબજરવરનું વજન ૨૦૦ મે.ટન અને ૩૨૦ પૈડાં છે. ૩૦૦ કિમીનું અંતર કાપીને થરાદ સુધી દોઢ મહિને આ તમામ સાધન પહોંચ્યાં છે. હજુ પણ ૨૫૦ કિમીનું અંતર કાપવાનું બાકી છે.