વડનગરમાં સોનામાં રોકાણની લાલચ આપી 2 કરોડથી વધુની ઠગાઇ કરી
ડીસાના 2 આરોપી સામે ફરિયાદ
વડનગર શહેરમાં કેટલાક સમય અગાઉ 2 વ્યક્તિઓએ ઓફિસ ખોલી સોનામાં રોકાણની સ્કીમ રજૂ કરી હતી. જેમાં વડનગર સહિત દૂર દૂરના અનેક રોકાણકારોએ ચેહર એન્ટરપ્રાઇઝના સંપર્કમાં આવ્યા હતા. આ ચેહર એન્ટરપ્રાઇઝના 2 ઈસમોએ તબક્કાવાર લાખો કરોડોનું રોકાણ મેળવી સામે વ્યાજ કે નફા પેટે રકમ આપતા હતા. થોડા સમય બધુ બરાબર ચાલ્યા બાદ અચાનક રોકાણ સામે નફાની રકમ આપવાની બંધ કરી હતી.
34 વ્યક્તિઓ પાસેથી કુલ 2,11,50,000 રોકાણ તરીકે લીધા હતા. આ 34 પૈકી એક જ વ્યક્તિએ 49 લાખ રોકાણ પેટે આપ્યા હોવાનું સામે આવ્યું છે.
આથી વડનગરના અબ્બાસભાઇ નામના વેપારીએ ચેહર એન્ટરપ્રાઇઝની વિગતો મેળવતાં ચોંકી ગયા હતા. આ ચેહર એન્ટરપ્રાઇઝના 2 સોની ઇસમોએ 34 રોકાણકારો સાથે અધધધ…. 2 કરોડથી વધુ રકમની ઠગાઇ કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં છેક વડોદરા પંથકના રોકાણકારો પણ છેતરાયા હોવાનું નામજોગ લીસ્ટ સામે આવતાં ચકચાર મચી ગઇ છે.
મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં અગાઉ ચેહર એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ખુલી હતી. મૂળ ડીસાના સોની જીતેન્દ્ર સત્યનારાયણ અને સોની અનિલ સત્યનારાયણ નામના બે ભાઇઓએ આ ચેહર એન્ટરપ્રાઇઝ ખોલી સોનામાં રોકાણની સ્કીમ મૂકી હતી. સ્થાનિક રોકાણકારો સમક્ષ લોભામણી સ્કીમ મૂકી ટૂંકા ગાળામાં મોટો ધંધો કરવા જતાં મોટો ઘટસ્ફોટ થઈ ગયો છે. વડનગરના અબ્બાસભાઇ નામના રોકાણકારે આ બંને ભાઇઓ વિરુદ્ધ અપાઉ અરજી આપી જેના આધારે દાખલ થયેલી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જેમાં આ બંને સોનીભાઇઓએ વડોદરા, મહેસાણા, ખેરાલુ, માણસા, સાણંદ, વિસનગર, વિજાપુર, અંકલેશ્વર અને ભિલોડા સહિતના વિસ્તારોમાંથી કરોડોનું રોકાણ મેળવ્યું હતું. જેની સામે વળતર નહિ મળતાં ચેહર એન્ટરપ્રાઇઝમા રોકાણકારોએ પૂછપરછ શરૂ કરી હતી. જોકે રકમ નહિ મળતાં વડનગરના અબ્બાસભાઇ નામના વેપારીએ ચેહર એન્ટરપ્રાઇઝના સંચાલક બંને ભાઈઓ વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.