પાલનપુરના પરપડામાં વીજળી પડતા પાંચથી વધુ પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મોટાભાગના વિસ્તારમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થયો છે. જેને પગલે રવિ પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ થતાં પાલનપુરના પારપડા ગામે પશુઓ પર વીજળી પડી હતી. જેથી પાંચથી વધુ પશુઓના મોત થયા છે. પશુપાલક ખેડૂતના માથે આભ ફાટ્યું છે. બીજી તરફ કાંકરેજના શિહોરીમાં ગાયત્રી સોસાયટીમાં રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકતા બારી બારણા, ટીવી, ફ્રીજ પંખા સહિતના ઘરવખરીના સામાનને નુકસાન પહોંચ્યું છે. જો કે, ઘરમાં આગ લાગતા સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વીજળી ત્રાટકતા ઘટનામાં મોટી જાનહાનિ થતા ટળી હતી.