અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘ મહેર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે ફરી જિલ્લામાં ભારે ઉકળાય બાદ અનેક તાલુકામાં વરસાદ પડતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. યાત્રાધામ અંબાજીમાં બપોર બાદ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. જ્યારે વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોર બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં યાત્રાધામ અંબાજીમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જાહેર રોડ પર ઘૂંટણસમાં પાણી વહેતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યો હતો.
જિલ્લામાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને ફરી આશા બંધાઈ છે. ખેડૂતોના મોટા ભાગના પાકો નિષ્ફળ જવાની આરે હતા ત્યારે વરસાદ આવતા કપાસ, મગફળી, દિવેલા, જુવાર, બાજરી અને મગ જેવા પાકોને જીવતદાન મળ્યું છે.