
ધાનેરા તાલુકામાં પાણીનાં વહેણમાં પાળા બાંધવાની કામગીરીમાં ગેરરીતિની બૂમ
ધાનેરા તાલુકાના એડાલ, તાલેગઢ,સિયા, નાની ડુગડોલ, સિયા,રવિયાંથી શેરા ,તથા ભાટીબથી પસાર થતા વરસાદી પાણીના વહેણમાં પાળા બાંધવામાં સિંચાઈ વિભાગની ગેરરીતી બાબતે લોકોએ છેક વિજિલન્સને રજુઆત કરી છે. ધાનેરા તાલુકામાં સિંચાઇ વિભાગ દ્વારા તળાવ ઊંડા કરવાની કામગીરી સાથે જ્યાં પાણીનું વહેણ પસાર થાય છે.એ વહેણમા માટીના પાળા બાધવાની કામગીરી માટેનો પ્લાન તૈયાર થયો છે .જેમાં દર્શાવવામા આવ્યું છે કે સરકાર તરફથી ૬૦ ટકા જ્યારે સંસ્થા દ્વારા ૪૦ ટકા સાથે કામ સોંપ્યું છે.જેમાં નવાઈ ની વાત એ છે કે જિલ્લામાં એવા ટ્રસ્ટ છે જે લાખો રૂપિયા પાણીની બચત માટે આપી રહ્યા છે.સિંચાઇ વિભાગે જિલ્લાના અલગ અલગ ટ્રસ્ટ તરફથી રકમ મેળવી ધાનેરા તાલુકાના દરેક ગામમાં માટી કામ કર્યું છે.જે મામલે દરેક ગામમાંથી રજૂઆત થઈ ચૂકી છે.આજે છ ગામના લોકોએ પોતાના ગામમાંથી પસાર થતા પાણીનાં વહેણમા કરેલ માટી કામને લઈ સિંચાઇ વિભાગ પર ગંભીર આક્ષેપ સાથે વિજિલન્સ પાસે તપાસની માગ કરી છે.કારણ કે પાણીના વહેણમા છ ગામો વચ્ચે અંદાજિત બે કરોડ રૂપિયાની રકમ પ્લાનમા બતાવવામાં આવી છે.જે રકમ બાબતે ગ્રામજનો સિંચાઇ વિભાગમા ખરાઈ કરવા માટે સંપર્ક કરે છે પણ કોઈ જવાબ મળતો નથી. જેને લઈ સાચી હકીકત જાણવા માટે હવે ગ્રામજનોએ વિજિલન્સમાં પત્ર લખી ગેરરીતીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. તાલેગઢથી એડાલ, એડાલથી શિયા, શિયાંથી ભાટીબ.બીજી તરફ નાની ડુંગડોલથી શિયા અને રવિયાથી શેરા ગામ નજીકથી પસાર થતા પાણીનાં વહેણમા માટીના પાળાની કામગીરી થઇ છે.જેની રકમ પોણા ત્રણ કરોડ જેટલી પ્લાન પ્રમાણે થાય છે.પરંતુ જેટલું કામ થયું છે એની સરખામણીએ રકમ ૫૦ ઘણી વધારે છે.તેમ ભમરાજી ગ્રામજને જણાવી આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માગ કરી છે.
ટ્રસ્ટ પણ શકના દાયરામાં…
ધાનેરા તાલુકાના માત્ર છ ગામની વાત નથી પણ ૭૮ ગામોમાંથી અડધા ભાગના ગામો ચાલુ વર્ષ દરમિયાન સિંચાઇ વિભાગ અને વિવિધ ટ્રસ્ટની ભાગીદારીથી તળાવ ઊંડું કરવાની કામગીરી ,નદી અને પાણીના વહેણની સફાઈ અને માટી કામ સાથે ચેક ડેમ બાધવાની કામગીરી કરાઇ છે.જાે કે દરેક ગામમાં ગેરરીતિ બાબતે રજૂઆત થઈ ચૂકી છે. વહીવટી તંત્રને આવેદપત્ર પણ અપાઈ ચૂક્યું છે.છતાં પણ સિંચાઇ વિભાગને કોઈ ફરક પડ્યો નથી અને કોઈ પણ પ્રકારની શરમ વિના ખૂલેઆમ પાણીનાં નામે કરોડો રૂપિયાની ગેરરીતી કરી પાણી વગરની ભોળી પ્રજા સાથે વિશ્વાસ ઘાત કરી રહ્યા છે.જે મામલે જાે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો ખોટા ટ્રસ્ટની પોલ પણ ખૂલે તેમ છે.તેમ દિનેશભાઈ કાપડી (પૂર્વ સરપંચ એડાલ ગ્રામ પંચાયત) એ જણાવેલ.