પત્નીની હત્યાને આત્મ હત્યામાં ખપાવવાના પતિના પ્રયાસનો પર્દાફાશ
રખેવાળ ન્યુઝ વાવ : વાવ પંથકમાં પરીણિતાની હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિષ કરનારા પતિ સામે ગુનો નોંધાયો છે. ગત દિવસોએ પરીણિતાએ ગળેફાંસો ખાઇ લીધો હોવાનું જાણતાં મહિલાના પિયરીયાઓ દોડી ગયા હતા. જે બાદમાં તપાસ કરતાં ગળાના ભાગે તાજા ઘાના નિશાન હોવાનું અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ ગળેફાંસો ખાઇને મૃત્યુ ન થયુ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પતિની સઘન પુછપરછ કરતાં તેણે કબૂલ્યું હતુ કે, પરીણિતા વારંવાર તેના પિયર જવાનું કહેતી હોઇ ગુસ્સામાં આવીને મેં જ મારી નાંખી છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ તેના બનેવીસામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.બનાસકાંઠા જીલ્લાના વાવ પંથકના ડેડાવા ગામે ગત દિવસોએ મહિલાના મોત બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો હતો. જાેકે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવતાં જ ચોંકાવનારી વિગતો સામે આવી છે. થરાદના વિષ્ણુમંદીરની બાજુમાં રહેતાં કંચનબેન સરતાણભાઇ હડીયલના લગ્ન વાવ તાલુકાના ડેડાવા ગામના પરષોત્તમભાઇ વણોલ સાથે થયા હતા. જે બાદમાં શરૂઆતથી જ તેમનો પતિ ચારીત્ર્ય બાબતે શંકા રાખતો હતો. આ તરફ પરીણિતાના પતિ કોરોનાને હરાવી સાજા થયા બાદ ખબર પૂછવા પણ જવા દેતો ન હતો. જે બાદમાં ૬ મે ના રોજ પરીણિતાએ આપઘાત કર્યો હોવાનું જાણતાં જ પિયરીયાઓ દોડી આવ્યા હતા.સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરીણિતાના મોત બાદ તેના પતિએ આત્મહત્યાનું નાટક ઉભુ કર્યુ હતુ. જાેકે પિયરીયાઓએ તપાસ કરતાં પરીણિતાના ગળાના ભાગે તાજા ઇજાના નિશાન હોઇ શંકા ગઇ હતી. જે બાદમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવતાં પરીણિતાનું મોત ગળેફાંસો ખાવાથી નહીં થયુ હોવાનું સામે આવ્યું હતુ. જેથી પરીણિતાના ભાઇએ તેના બનેવી સામે વાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ઇસમ સામે મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.