યાત્રાધામ અંબાજીમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદ શરૂ કરવાનો ઐતિહાસિક ર્નિણય
પરમ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બિંદુ તથા શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેદી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અરવલ્લીની રીમાળામાં બિરાજમાન શક્તિ સ્વરૂપા માં જગદંબાના દર્શને વર્ષમાં અંદાજિત ૧ કરોડ જેટલાં દર્શનાર્થીઓ માં અંબેના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવે છે. હાલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા અંબિકા ભોજનાલયનું સંચાલન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૭.૧૨ લાખ, વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧૯.૮૩ લાખ તથા વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૯.૧૭ લાખ યાત્રાળુઓએ અંબિકા ભોજનાલયમાં ભોજનનો લાભ લીધો છે. અંબાજી ખાતે આવતા યાત્રાળુઓની સુવિધા તથા સુખાકારી માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે તેમજ દર્શનાર્થે આવનાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવા કટીબધ્ધ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓ માટે ઉત્તમ સુવિધાઓ આપવામાં આવી રહી છે.