ડીસામાં ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી 50 હજાર ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
ડીસામાં આઇ શ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્યદિન નિમિતે ખોડીયાર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત બગીચા પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે 7 હજાર કિલો લાપસીનો પ્રસાદનું વિતરણ કર્યું હતું અને દિવસ દરમિયાન અંદાજીત 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રી વેરાઈ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બહુચર માતાજી, ગાયત્રી માં, ચામુંડા માં, હિંગળાજ માં, ભવાની માં, ભુવનેશ્વરી માં, આશાપુરા માં, ગાત્રાડ માં, મેલડી માં, વિસત માં, કનકેશ્વરી માં, મોમાઈ માં, નાગબાઈ માં, હરસિધ્ધિ માં, મોઢેશ્વરી માં, ઉમિયા માં વગેરે દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે ખોડિયાર માતાજી ખોડિયાર માતાજીનો જન્મ ચારણ જ્ઞાતિમાં આશરે 9મી થી 11મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જે નિમિત્તે આજે મહા સુદ આઠમ પ્રસંગે ડીસા ખાતે બગીચા સર્કલ પાસે આવેલા ખોડીયાર માતાના મંદિર ખાતે પણ ખોડીયાર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવસ દરમ્યાન 50 હજારથી વધુ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને મંડળ તરફથી 7 હજાર કિલો લાપસી મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું. માતાજીના દર્શન માટે અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મંદિર આગળ વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી ગઈ હતી.