કોરોના સંક્રમિત લોકોને સમયસર સારવાર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ :સાંસદ
બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે શનિવારે થરાદ તાલુકાના કેન્દ્ર રાહ, ભાચર પી.એચ.સી. કોવિડ કેર સેન્ટર અને ભલાસર સહિત વિવિધ ગામોમાં કાર્યરત કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યુ હતું. તેમણે ગ્રામજનોને આશ્વાસન અને હિંમત પુરી પાડતાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના સંક્રમિત લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
રાહ સીએચસીમાં બે નવા ડૉક્ટરોની નિમણૂક
થરાદ તાલુકાના મહત્વના મથક તરીકે ઉભરી રહેલા રાહ સી.એચ.સી.ખાતે નવા બે એમ.બી.બી.એસ. ડોક્ટરોની પણ સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી હતી. તેઓ શનિવારે તેમની ફરજ પર હાજર થયા હતા. જેને લઇને ગ્રામિણ વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો થશે. અને વધુ લાભ મળી શકશે તેવો આનંદ પણ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.