કોટડા ધાખા ગામે ગરીબ પરિવારોને ગામતળમાં મફત પ્લોટ અપાવવાનું આશ્વાસન
રખેવાળ ન્યુઝ ધાનેરા: ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામમાં ૨૦ વર્ષ પહેલાં સરદાર આવાસ તેમજ ઈન્દિરા આવાસ યોજનામાં ગરીબ પરિવારને મકાન સહાય મળી હતી અને છેલ્લા ૩૦ વર્ષથી આ પરિવારો આ કોટડા ધાખા ગામની સીમમાં વસવાટ કરતા હતા.જયારે ગામમાંથી દબાણ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટેમાં પિટિશન કરતા આખરે કોર્ટે દબાણ દૂર કરવા માટે આદેશ કર્યો હતો.જેના આદેશ અનુસાર ગત અઠવાડિયામાં બે દિવસ દરમિયાન ૨૦ જેટલા દબાણ દૂર કર્યા હતા. જેમાં ૧૩ જેટલા ગરીબ પરિવારના મકાન પણ તોડી પાડવામાં આવ્યા હતા. આથી આ પરિવાર બેઘર બની ગયા છે.તો આ તરફ કોટડા ધાખા ગામ ના દબાણ બાબતે સોસીયલ મીડિયામાં પણ પોસ્ટ ચાલુ થઈ ગઈ છે અને જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોટડા ધાખા ગામના દબાણ બાબતેનું ખોટું અર્થઘટન કરી દબાણ તોડ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જોકે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રઘુનાથભાઈ સાથેની મુલાકાત દરમિયાન તેમણે દબાણ દૂર કરવા બાબતે ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવાનું સ્પષ્ટ પણે જણાવ્યું હતું સાથે અગાઉ જે સરકારી સહાય હેઠળ મકાન આપવામાં આવ્યા હતા એ તમામ મકાન ગૌચર જમીનમાં બનાવ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતા. વધુમાં કોટડા ધાખા ગામના ૧૩ જેટલા પરિવારને હાલ પૂરતો પ્રાથમિક શાળા ખાતે આશરો આપવા માટેનું જણાવ્યું છે.આ પરિવારને ફરી ગામતળ મંજુર કરી મફત પ્લોટ આપી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મળે તે માટે ધાનેરા ધારાસભ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આ પરિવારોની મુલાકાત લીધી હતી અને કોટડા ધાખા પ્રાથમિક શાળા ખાતે બેઠક યોજી મકાન અને મફત પ્લોટ આ પરિવારોને મળે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.