દાંતામાં હવામાન પલટાતાં પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે દાંતા તાલુકા પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થી વાતાવરણમાં સતત પલ્ટો જોવા મળી રહ્યો છે. હાલ સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બની રહ્યા છે. એટલુ જ નહી ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળતા ખેડૂતો સાથે આમ પ્રજા પણ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ખેડૂતોનો કેટલોક તૈયાર પાક, તેમજ ખેતરોમાં ઉભેલો રવિ પાક બગડવાના સતત ભય ને લઈ જગતનો તાત ચિતીંત બન્યો છે.
દાંતા તાલુકામાં હાલ એરંડાનો પાક ખેતરોમાં લચી રહ્યો છે. કપાસનો પાક બગડી પાંદડાઓ કોહવાના લાગ્યા છે. ફુંકાતા પવનોના કારણે પાક નીચે પડી ગયો છે. એટલુજ નહી માવઠાની અસર થી કપાસમાં જીવાતો લાગી રહી છે. ત્યારે ખીલેલો કપાસ પણ કાળો પડી જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. તેટલા જ પ્રમાણમાં વરીયાળીના પાકને પણ મોટુ નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.વરીયાળીનો પાક નીચે પડી ગયો છે. જે દાણો સંકોચાઈ જાય તેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. પલ્ટાયેલા વાતાવરણ ને લઈ દાંતા તાલુકાના ખેડૂતોનો મોંમાં આવેલો કોળીયો છિંનવાઈ જશે તેમ માની રહ્યા છે