
સુઈગામ પંથકના ખેડૂતોને સહાય ન મળતાં રોષ
બનાસકાંઠા જિલ્લામાં ગત માર્ચ મહિલાના ત્રીજા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં ઉભેલા વાવેતરને ભારે નુકશાન થતું હતું. જેને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાન અંગેનો સર્વે કર્યો હતો. જેમાં સુઈગામ સહિતના ત્રણેક તાલુકા માં ૫૧૮ હેકટર જમીનમાં કરાયેલ વાવેતરમાં ૭૦ ટકા ઉપરાંતનું નુકશાન થયું હોઇ આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે ની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ કમોસમી વરસાદ પડયાના દોઢ માસ બાદ પણ ખેડૂતોને નુકશાનનું વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોનાં રોષ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં તા.૧૯ માર્ચના રોજ સુઈગામ સહિતના ત્રણેક તાલુકામાં ૧૦ થી ૨૫ મીમી વરસાદ પડતાં સુઈગામ તાલુકાના ૧૯ જેટલા ગામોમાં ઇસબગુલના પાકમાં ૭૦ થી ૮૦ ટકા જેટલું નુકશાન થવા પામ્યું હતું. જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા ૬૭૦ હેકટર જમીનમાં કરાયેલા વાવેતરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૫૧૮ હેકટર જમીનમાં ૭૯૫ ખેડૂતો ના વાવેતર ને નુકશાન થયું હોઇ આ અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકશાનનું વળતર ચૂકવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલી આપી હતી. જાેકે, કમોસમી વરસાદથી વાવેતરને નુકશાન થયાને દોઢ માસ નો લાંબો સમય વિતી જવા છતાં સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકશાનનું વળતર ચૂકવવા ન આવતા ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઇ જવા પામ્યા છે. ત્યારે સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સત્વરે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
૧૯ ગામોમાં ૧૦ મીમીથી વધુ વરસાદ પડતાં વાવેતરને નુકશાન થયું હતું
સુઈગામ સહિતમાં ૧૯ માર્ચ ના રોજ કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં ૧૯ ગામોમાં દશ મીમી થી વધુ વરસાદ પડતાં ૭૯૫ ખેડૂતોએ ૫૧૮ હેકટર જમીનમાં કરેલ ઇસબગુલના વાવેતર માં ૭૦ થી ૮૦ ટકા નું નુકશાન થયું હતું. આ નુકશાન નું વળતર ચૂકવવા દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય ચૂકવાઇ નથી.