બનાસકાંઠા જિલ્લામાં આઠ હજાર મેટ્રિક ટન ડીએપી ખાતર ફાળવાયું
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લામાં બટાકા ના વાવેતરના સમયે ડીએપી ખાતરની અછત વર્તાતા ખેડૂતોને નુકશાન વેઠવા ની નોબત સર્જાઈ હતી. જેને લઈ ખેડૂતો દ્રારા ખાતર પૂરું પાડવાની માંગ કરવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્રારા બનાસકાંઠા જિલ્લામાં આઠ હજાર મેટ્રિક ટન ડીએપી ખાતરની ફાળવણી કરવામાં આવી છે. અને આગામી બે દિવસમાં વધુ ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવનાર છે.
બનાસકાંઠા જિલ્લામાં બટાકાના હબ સમાં ડીસા પંથક સહિત વિવિધ વિસ્તારોના બટાકા ની વાવણી શ્રી ગણેશ કરાયા છે. તેવા સમયે ડીએપી ખાતર ની બજારમાં અછત વર્તાતા લાગતા અને ખાતર નું દુકાનો પર ખાતર ખરીદવા લાંબી કતારો માં ઉભા રહેવા છતાં પણ ખાતર ન મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાઇ જવા પામ્યા હતા જોકે બટાકાના વાવેતરમાં ખાતર ન મળે તો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડે તેમ હોય ખેડૂતો દ્રારા પાકને ઉગારી લેવા તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર પુરી પાડવા ખેડૂતો દ્રારા ઉગ્ર માંગ કરવામાં આવતા આખરે સરકાર દ્રારા ખાતરની અછત દૂર કરી માંગને પહોચી વળવા માટે ડીએપી ખાતરની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં રેલવે ની એક ટ્રેક મારફતે આઠ હજાર મેટ્રિક ટન ખાતરની ફાળવણી કરાઈ છે અને આગામી બે દિવસમાં વધું એક રેલવે ટ્રેક મારફતે ખાતર નો જથ્થો પૂરો પાડવા આવનાર હોવાનું ખેતીવાડી વિભાગ દ્રારા જણાવવામાં આવ્યું છે. જોકે, જિલ્લામાં આખરે ખાતરની ફાળવણી કરવામાં આવતા બટાકાના વાવેતરને નવ જીવન મળવા ની આશાને લઈ ખેડૂતોમાં આનંદ ની લાગણી છવાઈ છે.
ખાતરના કાળા બજારીયા ઓ સામે કાર્યવાહી કરાશે
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી એન.એસ. પટેલે જણાવ્યુ હતું કે, જો કોઈ વેપારી કે દુકાનાર ડીએપી ખાતર કે અન્ય ખાતરો ના વેચાણમાં કાળા બજાર કે ખેડૂતો પાસેથી ઊંચા ભાવો લેવાની ફરિયાદ કે રજુઆત મળશે તો તે વેપારી સામે કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે.