
ડીસાના થેરવાડા થી ગણેશપુરા સુધીના છ ગામના વાહનચાલકો ત્રાહિમામ
ડીસા તાલુકાના થેરવાડાથી ગણેશપુરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો સહિત હજારો લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે અને વારંવાર રજૂઆત બાદ કોઈજ કાર્યવાહી નહીં થતા હવે કંટાળેલા ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ડીસા તાલુકામાં થેરવાડા ગણેશપુરા સુધીનો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ હાલતમાં છે. 3 કિલોમીટર સુધીના આ માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ માર્ગ પર થેરવાડા, તાલેપુરા, ધાનપુરા, ઘાડા, આગડોલ, ગણેશપુરા સહિત છ જેટલા ગામડાઓ આવેલા છે અને રોજના 2000થી 3000 હજાર જેટલા લોકો આ માર્ગ પરથી અવર-જવર કરે છે, પરંતુ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે.
જ્યારે તાલેપુરાથી ગામમાં જતા માર્ગ પર પણ કોન્ટ્રાક્ટરે મેટલ પાથર્યા બાદ રોડ ન બનાવતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ મામલે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે કંટાળેલા ગ્રામજનોએ વહેલી તકે રોડ બનાવવાની માગ કરી છે અને જો રોડ બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.આ અંગે તાલેપુરા ગામના સરપંચ શાંતિભાઈ ચૌધરી અને મહાદેવભાઈએ જણાવ્યું હતું કે, થેરવાડાથી ગણેશપુરા સુધીના ખરાબ માર્ગ પર મેટલ પાથર્યા બાદ રોડ ના બનતા રોજના 2000થી 3000 વધુ લોકો પરેશાન થઈ ગયા છે. જેથી આજે તંત્ર ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો આ આગામી સમયમાં કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ રસ્તા પર મસમોટા ખાડા પડતા બીમાર લોકોએ રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ થાય અને ગામ લોકોની સમસ્યા તાત્કાલિક હલ થાય તેવી ગ્રામજનોની માગ છે.