આફતની આગાહી : બનાસકાંઠામાં ૨૧ થી ૨૩ માર્ચે કમોસમી વરસાદ
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને કળ વળી નથી. ત્યારે ફાટી એકવાર આફતની આગાહીને લઈને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. તો વળી કમોસમી વરસાદ ની આગાહીને લઇ ડિઝાસ્ટર વિભાગ પણ એલર્ટ બન્યું છે. ૨૧ થી ૨૩ માર્ચ ત્રણ દિવસ બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ માર્કેટયાર્ડને ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા આગામી ૨૧, ૨૨ અને ૨૩ માર્ચે કમોસમી વરસાદની આગાહીને લઈ સાવચેતીના પગલાં લેવા સૂચના પત્ર જાહેર કર્યો છે. જેમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ૧૮ માર્ચ ૨૦૨૩ ના ઈમેલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લાના ૨૧, ૨૨ અને ૨૩ માર્ચના કમોસમી વરસાદની આગાહી હોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લા રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સબ સેન્ટરોમાં તેમજ અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગેની સુચના ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામાં આવી છે.