થરાદ ખાતે આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ત્રણ તાલુકાના સમાજની રેલી યોજાઇ
સરહદી પંથકમાં નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ ‘આદિવાસી દિવસ’ ની ઉજવણી રેલી કાઢી કરવામાં આવી હતી. જેમાં થરાદ,વાવ અને સુઈગામ ત્રણ તાલુકાના સમાજ દ્વારા જનતા હાઈસ્કુલ પાસે ભીલ સમાજની વાડીથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ભીલ સમાજની વાડીથી જનતા હાઈસ્કુલ, ટાંડા તળાવ,બસ સ્ટેન્ડ, હનુમાન ગોળાઈથી રેફરલ ત્રણ રસ્તા, ગાયત્રી મંદિર અને માર્કેટયાર્ડ થરાદ
સુધી યોજાઈ હતી. જેમાં પધારેલ મહેમાનો, નેતાઓ તેમજ અધિકારી, કર્મચારીઓ તેમજ દાતાઓનું સન્માન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. થરાદના અને વાવના ધારાસભ્યોએ થરાદમાં આદિવાસી સમાજની વાડીમાં હોલ બનાવવા માટે ગ્રાન્ટ આપવા માટે
રજુઆત કરી હતી. જેની આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે જાહેરાત કરતાં નારણ રાઠવા રાજ્યસભા સાંસદ છોટાઉદેપુર દ્વારા ૧૦
લાખની ગ્રાન્ટ ફાળવણી કરી હતી.જ્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ ૧૦ લાખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ આદિવાસી સમાજની વાડી માટે ૫ લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.
સ્થાનિક રાજકીય અગ્રણીઓએ ખાસ હાજરી આપી
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થરાદ ખાતે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પુર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપુત થરાદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પથુંસિંહ રાજપુત, થરાદ નગરપાલિકાના દીપકભાઈ ઓઝા,બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસ બેંકના ડિરેક્ટર્સ શૈલેષભાઈ પટેલ, અર્જુનસિંહ વાઘેલા,થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા સહિતના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર પંથકમાંથી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.