પાલનપુર નગરપાલિકામાં સી.એમ. ની સંભવિત મુલાકાતને પગલે તંત્ર સતર્ક
પાલનપુર નગરપાલિકામાં જન સેવા કેન્દ્રના ઉદ્દઘાટન માટે મુખ્યમંત્રીની સંભવિત મુલાકાતને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું. આજે ગુજરાત સરકારના સેક્રેટરી, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ જન સેવા કેન્દ્રનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
પાલનપુર નગરપાલિકામાં જન સેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આગામી ૧૦ મી જૂને મુખ્યમંત્રીના હસ્તે થાય તેવી સંભાવના છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંભવિત મુલાકાતને લઈને તંત્ર સતર્ક બન્યું છે. આજે રાજ્યના સેક્રેટરી સંજીવ કુમારે પાલનપુર નગરપાલિકાની મુલાકાત લઈ જન સેવા કેન્દ્રનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. જેઓની સાથે જિલ્લા કલેકટર ડીડીઓ, એસ.પી. સહિતના અધિકારી ઓ જાેડાયા હતા. બાદમાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ, ડીડીઓ સ્વપ્નિલ ખરે, એસ.પી. અક્ષયરાજએ પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ સહિત ના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં સી.એમ.ના સંભવિત પ્રવાસને લઈને આયોજનની રૂપરેખા ઘડી કાઢતા જરૂરી સૂચનો કરાયા હતા.