
જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીનાં વ્રતની ઉજવણી
હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર પતિના દીર્ધ આયુષ્ય માટે પત્નીઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે. તે માટે લાખણી સહિત જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરોમાં પણ વિવિધ મંદિરોમાં જઈ આજે આસો વદ ચોથના રોજ વટસાવિત્રી વ્રતધારી સૌભાગ્યવતી મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી. દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે.તેમજ ઉપવાસ રાખીને વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી, બંનેનું ખુબ જ વિશેષ મહત્વ હોય છે. આપણા પ્રાચીન પુરાણો અનુસાર વટ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેને નીચે બેસીને પૂજા તેમજ વ્રતકથા સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજ રોજ વિવિધ મંદિરોના પટાંગણ અને સોસાયટીમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા-અર્ચના કરી વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી.