ડીસા અને પાલનપુરમાં હવે ધંધા રોજગાર રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
રખેવાળ ન્યુઝ ડીસા : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા પાલનપુર અને ડીસામાં ૪ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો પ્રતિબંધ ઊઠાવી લેવાયો છે. જિલ્લા કલેકટર દ્વારા કોરોના સંક્રમણ ખાળવા માટે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટતા નિયંત્રણો ઉઠાવી લેવાનો ર્નિણય લેવાયો છે. મંગળવારથી સરકારી ગાઈડ લાઈન મુજબ દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના કેશોમાં ધરખમ વધારો થતાં તેનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા હતા. ખાસ કરીને પાલનપુર અને ડીસામાં કોરોનાના કેસ વધતાં આ બંને શહેરોમાં છેલ્લા ઘણા સમયથી ધંધા રોજગાર અને દુકાનો સાંજે ૪.૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા જીલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે જીલ્લાના મોટા આ બે શહેરોમાં ધંધા રોજગારને માઠી અસર પણ થઈ છે. જાેકે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સાથે સંક્રમણનું પ્રમાણ પણ ઘટ્યુ છે. આથી અગાઉ ૧૦ ઓગસ્ટ સુધી ધંધા રોજગાર સાંજે ૪.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટેનું જાહેરનામું ગઈકાલે પુર્ણ થતાં જીલ્લા કલેક્ટર દ્વારા આજથી ડીસા અને પાલનપુરમાં સરકારની ગાઈડલાઈન મુજબ રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે છુટ આપી છે. આથી આ બંને શહેરોમાં રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ધંધા રોજગાર અને દુકાનો ધમધમતી રહેશે. પરંતુ સાથે સાથે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક તથા સેનેટાઈઝર વગેરે નિતિનિયમોનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરાયો છે.