એસ.ટી વિભાગ દ્વારા બે જગ્યા પર બસની વ્યવસ્થા ઉભી કરાઇ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો નથી ભરાવાનો પરંતુ યાત્રિકો માં અંબાના દર્શન કરવા પગપાળા તેમજ વાહનો અને એસ.ટી બસમાં અંબાજી જઇ રહ્યા છે. જેથી યાત્રિકોને માં અંબાના દર્શન કરવા જવામાં તેમજ દર્શન બાદ પોતાના ઘરે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસ.ટી વિભાગ દ્વારા પાલનપુરમાં બે જગ્યા ઉપરથી દર અડધો કલાકે અંબાજી જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા કરાઇ છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનું પ્રતિક એટલે યાત્રાધામ અંબાજી, અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. અને લાખો શ્રધ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા પગપાળા તેમજ બસ સહીત પ્રાઇવેટ સાધનોમાં અંબાજી આવતા હોય છે. અને પોતાની માનતા તેમજ બાધા આખડી પુરી કરતા હોય છે. તેમજ કેટલાક યાત્રિકો શ્રધ્ધાથી માં અંબાના દર્શન કરવા પગપાળા તેમજ બસમાં જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોની મહામારીના કારણે વહીવટી તંત્ર દ્વારા અંબાજી ભાદરવી પૂનમનો મેળો મોકુફ રખાયો છે. પરંતુ માં અંબા પ્રત્યેની અતૂટ શ્રધ્ધા અને આસ્થાને લઇ યાત્રીકોએ મેળાના સમયગાળા કરતા પહેલાથી માં અંબાના ચરણે શિશ નમાવવા માટે પગપાળા નિકળી પડ્યા છે. જેથી દર્શન બાદ યાત્રિકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી શકે તે માટે એસ.ટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા તો કરી છે. પરંતુ કોઇ ભક્તોને બસમાં માં અંબા ના દર્શન કરવા જવુ હોય તો તેવા ભક્તો માટે એસ.ટી વિભાગ દ્વારા પાલનપુર શહેરમાં અંદરના ભાગે આવેલા જૂના બસ સ્ટેશન તેમજ જિલ્લા પંચાયત પાસેથી અંબાજી જવા માટે એસ.ટી.બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ શહેર માં આવેલા બસ સ્ટેશનમાંથી તો દર અડધો કલાકે અંબાજી જવા માટે એસ.ટી. બસ મુકવામાં આવી હોવાનું એસ.ટી.વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.