
દિયોદરમાં આખલાએ 2 વ્યક્તિને અડફેટે લીધા : સારવાર દરમિયાન એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આખલાએ બે લોકોને અડફેટે લીધાની ઘટના સામે આવી છે. દિયોદરના જાડા ગામે આખલાએ આતંક મચાવતા બે વ્યક્તિઓને મંગળવારે અડફેટે લીધા હતા. જે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 50 વર્ષીય આધેડનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.જ્યારે અન્ય એક હજુ પણ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી રહી છે.
જાડા ગામમાં બંને વ્યક્તિઓને અડફેટે લેતા મૃતકને છાતીના ભાગે ઈજા પહોંચી હતી. છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને લઈ તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર હેઠળ હોવા દરમિયાન તેઓનુ મોત નિપજ્યુ છે. આમ આખલાના આતંકને લઈ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજ્યમાં અનેક સ્થળે હાલમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યા આખલાઓનો પણ આતંક વધવા લાગતા અને જીવલેણ હુમલા કરવાની ઘટના સામે આવી રહી છે.