
અંબાજીને જોડતા જાહેર માર્ગો પર ડાન્સ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ
આગામી તા.23/09/23થી તા. 29/09/23 દરમ્યાન અંબાજી મુકામે ભાદરવી પૂનમ મહામેળા નિમિતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભકતો યાત્રાળુઓ વાહનોમાં આવતા હોય છે. આ સમય દરમ્યાન મંદિરમાં દર્શન સારૂ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગતી હોય છે. જેથી અંબાજી ટાઉનમાં પુષ્કળ પ્રમાણમાં દર્શનાર્થીઓની ભીડ રહે છે.લોકોમાં મા અંબાના દર્શન માટે ઉત્કંઠા રહેતી હોઈ, લાંબી કતારોમાં ધકકા મુકકી થવા સંભવ રહે છે. જેના લીધે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈ અડચણ ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ દર્શનાર્થીઓની કતારમાં ધકકા મુકકી કે અડચણ ઉભી ન થાય તે સારૂ નિયમન કરવું જરૂરી છે.
જે અંતર્ગત બનાસકાંઠાના જિલ્લા મેજીસ્ટ્રેટ વરુણકુમાર બરનવાલ દ્વારા અંબાજી મંદિરમાં દર્શન માટેની કતારોમાં કોઈપણ ઈસમ દ્વારા ધકકા મુકકી કરવા કે અડચણ ઉભી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. આ પ્રતિબંધ તા. 23/09/23 થી તા. 29/09/23 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર થશે.અંબાજીને જોડતા જાહેર માર્ગો પર ડાન્સ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.દાંતા અંબાજી રોડ, સતલાસણા- દાંતા- અંબાજી રોડ, માંકડચંપા-હડાદ-અંબાજી રોડ વગેરે માર્ગો ઉપર કોઈ ઈસમ કે આયોજકો દ્વારા જાહેર રસ્તા ઉપર કે રોડ ઉપર ડાન્સ કાર્યક્રમોનું આયોજન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.આ પ્રતિબંધ તા. 23/09/23 થી તા. 29/09/23 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 131 હેઠળ સજાને પાત્ર થશે.