
એચપીસીએલ કંપની દ્વારા ખેડુતો સાથે મનમાની કરાતી હોવાનો આક્ષેપ
થરાદમાં એચપીસીએલ કંપની દ્વારા ખેડુતો સાથે મનમાની કરી તેમને નુકશાન પહોંચાડતી હોવાના આક્ષેપ અને રોષ સાથે ખેડુતોએ થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કામ તાત્કાલિક બંધ કરવા રજુઆત કરી હતી.નાયબ કલેક્ટરે ખેડુતોને હૈયાધારણ આપી હતી. થરાદ પંથકમાંથી કચ્છ (મુન્દ્રા)થી રાજસ્થાનના પચપદ્રા રીફાઇનરી જતી એચપીસીએલ કંપનીની તેલની પાઇપ લાઇન પસાર થઇ રહી છે. જે કંપની તેને કરવાની થતી પાઇપલાઇનમાં ખેડુતોને સાથે રાખીને કરેલ પંચનામા માન્ય ગણવા અને કંપની પોતાની ઈચ્છા મુજબના પંચનામા કરી વળતર ન આપવા માટે ખેડુતો સામે પોલીસ પ્રોટેક્શન લઈને ડરાવીને કામ કરે છે અને વળતર આપતા નથી તેવા આક્ષેપભર્યા રોષ સાથેની આવેદનપત્ર સ્વરૂપે રજુઆત બુધવારે થરાદના નાયબ કલેક્ટરને કરી હતી. ખેંગારપુરા પંથકના ચૌધરી વાંકજીભાઇ રુપસીભાઇ સહિત ખેડુતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જે તે સમયે ખેડુતો અને ગામના સાક્ષીઓ રૂબરૂ કરેલા પંચનામોમાં છેડછાડ કરી ખુબ મોટાપાયે આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે, તો વળી અમુક ખેડુતોને તમામ આધાર પુરાવા હોવા છતાં મનમાંની રીતે પંચનામું બનાવી પોલીસના ડર આપીને ધમકાવીને બળજબરીપુર્વક કામ કરે છે. ખેતરના બે ભાગ કરી નાખ્યા છે.દાડમ,ખજુરના પાક નષ્ટ કરી દીધા છે.ઉંચા ધોરાવવાળી જમીન અંગે કહેવા છતાં પણ સાંભળતા નથી અને જેલમાં નાખવાની ધમકી આપે છે અને ફરજમાં રુકાવટના બહાને હેરાન કરાય છે જે યોગ્ય નથી તેમ જણાવી જ્યાં સુધી યોગ્ય અને સંતોષકારક વળતર ન મળે ત્યાં સુધી આગળની કામગીરી ન કરવા દેવા લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર કશ્યપ ડાભીએ આ અંગે યોગ્ય કાર્યવાહીની ખેડુતોને હૈયાધારણ પણ આપી હતી.