
બાળકોની ચૌલ ક્રિયા માટે આવતા લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરવા રજુઆત કરાઈ
સરહદી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામ નજીક આવેલ કર્માવદ ખાતે અતિ પ્રાચીન ગુરુ ધૂંધળી નાથનું મંદિર પહાડ પર આવેલું છે. અતિ પ્રાચીન આ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોની ચૌલક્રિયા માટે આવતા હોય છે. પરંતુ અહી પહાડ પર પગથીયા, વિસામો, રોડ, વીજળી કે પાણીની સુવિધા ન હોઇ આ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડના સમાવેશ કરી અહી શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરવામાં આવી છે. વડગામ ના જલોત્રા નજીક અરવલ્લી ની ગિરિમાળાની ટોચ પર ૮૦૦ વર્ષ પુરાણું અતિ પ્રાચીન ગુરુ ધુંધળીમલ મહારાજ નું મંદિર આવેલું છે. અહી ૩૨ મણ વજનની ગુરુ મહારાજની મૂર્તિ આવેલી હોઇ દરરોજ અહી પાંચસો થી વધુ શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. જોકે, મંદિરે જવા માટે પહાડ પર પગથિયાં, વિસામો, વીજળી, પાણી કે રોડની સુવિધાઓ ના હોવાથી દર્શને આવતા શ્રદ્ધાળુઓને ભારે અગવડતા ભોગવવી પડી રહી છે. જોકે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત રાજ્યભરમાંથી પોતાના પ્રથમ પુત્રની ચૌલ ક્રિયા અને લોટ કરવા આવતા શ્રદ્ધાળુઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાન તીર્થ સેવા સમિતિ દ્વારા અગાઉ જીલ્લા કલેકટરને આ મંદિર નો વિકાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ તત્કાલીન કલેકટર આનંદ પટેલ દ્વારા આ મંદિરના વિકાસ માટે રૂ.૫૪.૭૨ કરોડ ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્ત ને મંજૂર કરવા અને આ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ માં સમાવેશ કરવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા આવી હતી. જેને લઇ જિલ્લા કલેકટર દ્વારા ગુરુ ધૂંધળી નાથ મંદિર ની ફાઇલને જોઈને સમગ્ર મામલે ટિમ દ્વારા સર્વે કરાવીને સરકારમાં મોકલી આપવા ની ખાતરી આપી હતી.