શિક્ષણની વિસ્તરી ક્ષિતિજ પરનું ઇન્દ્રધનુષ : આધુનિક સુવિધાથી સજ્જ ગઢ મહુડીની કન્યા સાક્ષરતા નિવાસી શાળા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક વનબધું પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને એવું સ્વપ્ન સેવ્યું છે. જેના ભાગરૂપે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આદિવાસી બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ માટે રાજ્યમાં ૫૦ આદર્શ નિવાસી શાળાઓ, ૬૦૧ આશ્રમ શાળાઓ, ૩૬ ઇ.એમ.આર.એસ., ૫૫ મોડેલ સ્કૂલ અને ૧૧૪૩ છાત્રાલયો કાર્યરત છે. જેમાં ૨ લાખથી વધુ આદિજાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસની સાથે ઉચ્ચ કારકિર્દી ઘડતરની કેડી ુકંડારી રહ્યા છે.રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી અને બનાસકાંઠા જિલ્લા ટ્રાયબલ એરિયા સબ પ્લાન કચેરી, પાલનપુર દ્વારા દાંતા અને અમીરગઢ આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસની સાથે પાયારૂપી શિક્ષણની જરૂરિયાત માટે બનાસકાંઠા જિલ્લામાં ૨ મોડેલ સ્કૂલ, ૫ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા ૩ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એમ કુલ- ૧૦ શાળાઓ કાર્યરત છે. જેમાં ૪૦૦૦ જેટલાં આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ આદિજાતિની કન્યાઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર સુધારો લાવવા અને ડ્રોપ આઉટ ઘટાડી કન્યા શિક્ષણને વેગ આપવા માટે ૫ કન્યા સાક્ષરતા નિવાસી શાળા કાર્યરત છે. જેમાં ૧૮૪૦ જેટલી આદિજાતિ દીકરીઓ ધોરણ- ૬ થી ૧૨ સુધીનું વિનામૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ અને ભોજન વગેરેની સુવિધા મેળવી ભાવિ ઘડતરની દિશામાં આગળ વધી રહી છે. દાંતા તાલુકાના ગઢ મહુડી ગામમાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા આ વિસ્તારમાં વસતા આદિજાતિ પરિવારોની દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે. ડુંગરાળ પહાડો, વહેતાં ઝરણાં અને નર્યા નૈસર્ગિક સૌદર્ય વચ્ચે આવેલી શાળા કોઈ હિલસ્ટેશન પરના પર્યટન સ્થળ જેવી લાગે છે. શાળાનું આધુનિક મકાન, છાત્રાલય અને વનરાજી ખરેખર મનમોહી લે એવી તો છે જ પરંતુ શાળામાં અપાતું શિક્ષણ પણ ઉત્તમ કક્ષાનું છે. આધુનિક યુગની જરૂરિયાત એવા કમ્પ્યુટર શિક્ષણ સાથે ટીવી પર શૈક્ષણિક વીડિયો દ્વારા શિક્ષણ આપી આદિજાતિ દીકરીઓને શૈક્ષણિક રીતે સક્ષમ બનાવવાનો સરકારનો આ પ્રયાસ ખરેખર પ્રસંશનીય છે. ગઢ મહુડીમાં વર્ષ ૨૦૦૯ થી કાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળાનું આધુનિક મકાન ૨૦૧૯માં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૬ થી ૧૨ માં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
કન્યા સાક્ષરતા નિવાસી શાળા તરફથી તમામ જરૂરિયાતો પુરી પડાય છે
શાળામાં અપાતી સવલતોની વાત કરીએ તો ધોરણ ૬ થી ૧૨ ની કન્યાઓને બે ટાઈમ નાસ્તો, બે ટાઈમ જમવાનું, સ્કૂલ બેગ,
૨ યુનિફોર્મ, ૨ નાઈટ ડ્રેસ, ૧ સેરેમની ડ્રેસ (બુધવારે), સ્પોર્ટ્સ યુનિફોર્મ (શનિવારે), સ્પોર્ટ શૂઝ, મોજડી, બુટ, એક જાેડી ચંપલ, ૪ જાેડી મોજા, ૨ જાેડી ટાઈ અને બેલ્ટ સહિત સ્ટાન્ડર્ડ ક્વોલિટીની સ્ટેશનરી, ચોપડા, પુસ્તકો, ન્હાવા ધોવાના સાબુ, કાંસકો, પાઉડર, સહિતની ટોઇલેટરી પણ આપવામાં આવે છે. કન્યાઓની આરોગ્ય અંગેની દેખરેખ અને તેમને મૂંઝવતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે દર મહિને નિયમિત આરોગ્ય ચકાસણી અને સેનેટરી પેડ માટે વેન્ડિંગ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો તેમના પોષણ માટે દૂધ સંજીવની યોજના અન્વયે બાળકીઓને દરરોજ દૂધ આપવામાં આવે છે.