વડગામના મગરવાડા તીર્થ સ્થાને પાંચમી નવરાત્રીએ કરવઠાનો ભવ્ય યજ્ઞ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ યક્ષાધિરાજ શ્રી માણીભદ્ર વીર તીર્થસ્થાન મગરવાડા દેશભરના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં પ્રચલિત છે. અહીં દેશના અનેક રાજ્યો સહિત વિદેશી યાત્રિકો દાદાના તીર્થ સ્થાને દર્શન કરી ધન્યતા અનુભવે છે. મગરવાડા સ્થિત શ્રી માણીભદ્ર વીર દાદા આજુબાજુના પંથકમાં અસંખ્ય લોકો માટે આસ્થા સ્થાનક છે. અહીં શ્રદ્ધાપૂર્વક દર્શને આવનાર ના અનેક દુઃખ દૂર થયાં હોવાના ચમત્કારિક પરચા છે. અહીં કારતકથી સુદ આસો સહિતના શુકલ પક્ષની પાંચમે હજારો ભાવિકો ઉમટી પડે છે. વર્તમાન સમય તથા છેલ્લા બે વર્ષથી કોરોના કાળના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ દર વર્ષે યોજાતો લોક મેળો મોકૂફ રાખી ફક્ત મગરવાડા ગ્રામજનો દ્વારા કરવઠાનો યજ્ઞ યોજવામાં આવ્યો છે. જેમાં ગામના મુખ્ય યજમાનો યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો. યજ્ઞમાં દૂર દૂરથી દર્શન કરવા આવેલ ભાવિકોએ ઘી શ્રીફળ હોમી પોતાનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો, તેવું ગાદીપતિ યતી વર્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ તથા સરપંચ પ્રકાશસિંહ સોલંકીએ જણાવ્યું હતું.