
અમીરગઢ પાસે કન્ટેઈનરમાંથી ૬૪ અબોલ જીવોને જીવતદાન
અમીરગઢ પીઆઇ એમ.આર.બારોટની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ઉપર વહેલી સવારે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન રાજસ્થાન તરફથી એક કન્ટેઇનર (નં.એચઆર-૩૯-ઇ-૨૦૪૮) આવતા રોકાવવાનો પ્રયત્ન કરતાં ચાલકે પોતાનું કન્ટેઈનર પાલનપુર તરફ ભગાડી મુકતાં તેનો પીછો કરતાં કન્ટેઇનર ચાલક આવલ ગામની સીમમાં કન્ટેઇનર મુકી નાસી છૂટ્યો હતો.
જે કન્ટેનરમાં ચેક કરતાં જીવતા નંદી (આખલા), ગાય કુલ ૬૪ તથા મરી ગયેલ નંદી-૧ મળી આવ્ય હતા. જેની કિંમત રૂ.૯૬,૦૦૦ તથા કન્ટેઇનરની કિંમત રૂ.૧૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ. રૂ.૧૨,૯૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરાયો હતો. પકડાયેલા નંદી (આખલા), ગાયને ડીસાના કાંટ પાંજરાપોળ મોકલી આપી નાસી ગયેલ કન્ટેઇનર ચાલક વિરુધ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.