
થરાદમાં ૧૦ મુખ્ય પ્રવેશદ્વાર ઉભાં કરાશે, નગરનો દુલ્હનની જેમ શણગાર
થરાદ નગરમાં આગામી રામનવમીએ ભગવાન શ્રી રામના નીજ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આત્રિદિવસીય સહભાગી બનવા માટે સમગ્ર પંથક સહિત ગુજરાત રાજ્યના સંતો,મહંતો અને રાજકીય અગ્રણીઓ તથા સરકારી અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. થરાદ નગરને દુલ્હનની જેમ શણગારાઇ રહ્યું છે. શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપુત અને યુવા અગ્રણી અલ્પેશસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ૭૦૦ ગ્રામ વજનની એક એવી ૭૫૦૦ પત્રિકાઓ છપાવવામાં આવી છે. આ પત્રિકાઓ હાથોહાથ પહોંચાડવા માટે શ્રીરામ સેવા સમિતિના હોદ્દેદારો અને નગરના વિવિધ સમાજોના પ્રતિષ્ઠિત યુવા નાગરિકો અને અગ્રણીઓની પંદર જેટલી ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે
થરાદ પંથકના દરેક ગામોમાં ભગવાનના મહોત્સવનો રથ ફરી રહ્યો છે. તેમની સાથેના આગેવાનો દ્વારા ગામના અઢારેય આલમના આગેવાનોને સાથે મળીને પત્રિકા આપી મહામહોત્સવમાં સહભાગી બનવાનું હૃદયપુર્વક આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પત્રિકાના દાતા તરીકે ચઢાવવાનો લાભ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને તેમના બંને પુત્રો શૈલેષભાઈ પટેલ તથા મહેશભાઈ પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. થરાદ નગરના આંગણે યોજાઇ રહેલા આ ઐતિહાસિક મહોત્સવને યાદગાર બનાવવા માટે સમગ્ર નગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર નગરમાં ૧૦ પ્રવેશદ્વાર,અને યજ્ઞશાળાનો મુખ્ય ગેટ ઉપરાંત મુખ્ય બજારથી બળીયા હનુમાન મંદીર અને સોનારા શેરી તથા અયોધ્યાપુરી (યજ્ઞમંડપ) સુધીનો વિસ્તાર રોશની અને રંગબેરંગી હારતોરા અને ધ્વજાપતાકાઓથી શણગારવામાં આવી રહ્યો છે.