પાલનપુરમાં શિરવાડાના વિપ્ર યુવકે વખ ઘોળ્યું
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર-ડીસા હાઇવે પર જોડનાપુરા પાસે વિપ્ર પરિવારના એક ૨૬ વર્ષીય યુવકે વખ ઘોળી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા જોડનાપુરા પાસે એક ૨૬ વર્ષીય યુવક ઝેર પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને તાકીદે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ યુવક કાંકરેજ તાલુકાના શિરવાડા ગામનો ભરત ભાઈરામભાઈ જોશી હોવાનું જાણવા મળ્યું છે. તેણે વ્યાજખોરોના ત્રાસથી અને કોઈ બિલ્ડરની ધમકીથી આવું આત્મઘાતી પગલું ભર્યું હોવાના અહેવાલ મળ્યા છે. તેની પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી યુવકને મોતના મુખમાં ધકેલનારા લોકોને બેનકાબ કરે તેવી લાગણી ઉપસ્થિત લોકોએ વ્યક્ત કરી હતી.