થરાદમાં પ્રાંતઅધિકારીની ઉપસ્થિતીમાં અગ્રણીઓ અને સંકલન સમિતિની બેઠક
રખેવાળ ન્યુઝ થરાદ
શનિવારે થરાદના નાયબકલેક્ટર વિ.સી. બોડાણાની અધ્યક્ષતામાં પ્રાંતકચેરીના હોલમાં તાલુકાની સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં તાલુકાના ખેડુતોને સ્પર્શતા વિવિધ ૧૮ પ્રશ્નો અંગે તાલુકાના આગેવાનોએ અગાઉ રજુઆત કરી હતી. જેની પ્રાંતકલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને તેના ઝડપી નિરાકરણ માટે સુચના આપવામાં આવી હતી. આથી વિભાગ દ્વારા કાર્યવાહી કરાતાં તેનો નિકાલ થવા પામ્યો હતો. જ્યારે આજની બેઠકમાં નવ પ્રશ્નો નવા આવ્યા હતા. આ અંગે મામલતદાર એન. કે.ભગોરાએ જણાવ્યું હતું કે તાલુકાના વિવિધ ગામોમાંથી રોડ,રસ્તા,પાણી વિજળી અને કેનાલોને લગતા પ્રશ્નોનો સમાવેશ થતો હતો.આમ કુલ ૨૭ માંથી ૧૮નો નિકાલ થવા પામ્યો હતો. જ્યારે બાકીનાનો પણ ટુંક સમયમાં નિકાલ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં તાલુકાના વિવિધ વિભાગોના સરકારી અધિકારી તથા કર્મચારી અને ભાજપના પુર્વ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ, પુર્વ ભાજપપ્રમુખ રૂપસીભાઇ પટેલ,જીલ્લાભાજપના પુર્વ કોષાધ્યક્ષ ઓખાભાઇ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.