
બાયડના શ્રીનાથ સોસાયટીમાં પાણી ફરી વળ્યા : એનડી આર એફ દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા
ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડ્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લીધો હતો અને છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે બાયડની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા ફસાયેલા રહીશોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.અરવલ્લી જિલ્લામાં ખબકેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકામાં ખાબક્યો હતો. બાયડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના કારણે બાયડનું રામનું તળાવ, ગામનું તળાવ ઓવરફ્લો થયું. જેના કારણે તમામ પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવે છે.
શ્રીનાથ સોસાયટી, લાખેશ્વરી વિસ્તારમાં રહીશોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં રહેલા પરિવારજનો પણ ફસાયા હતા. જેથી NDRF અને મોડાસા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી અને રેસ્ક્યૂ કરી નાના બાળકો, ગર્ભવતી મહિલા, વૃદ્ધોને બચાવાયા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી 200 કરતા વધારે લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. હજુ પણ અનેક લોકો ઘરમાં ફસાયેલા છે ત્યારે હાલ પણ રેસ્ક્યૂ ચાલુ છે.