મેઘરજના પિશાલ ગામે વર્ષો જૂનું આંગણવાડીનું મકાન જર્જરીત
પિશાલ ગામ 2000 વસ્તી ધરાવતું ગામ છે, ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. ગામમાં વર્ષો પહેલા બનેલી આંગણવાડી છે, જે છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત છે. મકાનની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે, છત પણ તૂટી ગઈ છે છતના પોપડા ઉખડી ગયા છે. છતના સળીયા સડેલી હાલતમાં બહાર દેખાવા લાગ્યા છે જેથી તે ક્યારે ધરાશયી થાય એ નક્કી નહીં.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ આંગણવાડીનું મકાન છેલ્લા પાંચ વર્ષથી કંડમ કરેલું છે, પરંતુ નવું મકાન બનાવેલ નથી. હાલ આંગણવાડીના બાળકોને બેસવા માટે ગામમાં અન્ય કોઈ વિકલ્પ નથી. જેથી જર્જરિત આંગણવાડી મકાનના બહારના ભાગે ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે.
હાલ ચોમાસાના આવા સંજોગોમાં આંગણવાડીના નાના ભૂલકાઓની સ્થિતિ દયનિય છે. એક તરફ બાળકોમાં કુપોષણ ઘટાડવા અને સુવિધા સભર શિક્ષણ આપવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવતા હોય છે. જ્યારે પિશાલ ગામમાં આંગણવાડીના બાળકોના ભય નીચે ભણતરના વરવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ જર્જરિત આંગણવાડીનું મકાન નવું બનાવવામાં આવે જેથી નાના ભૂલકાઓની સલામતી રહે.